કેન્દ્ર સરકાર છેલ્લા એક વર્ષથી લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવાના મિશન પર કામ કરી રહી છે અને વિવિધ રાજ્યોમાં તેને લઈને યોજનાઓ શરુ કરવામાં આવી છે. પીએમ મોદીએ આવી જ યોજનાઓનું આજે યુપી માટે શિલાન્યાસ કર્યું.
યુપીના જિલ્લાઓમાં પાઈપથી પહોંચશે જળ
પીએમ મોદીએ હજારો કરોડની યોજનાની કરાવી શરૂઆત
પીએમ મોદીએ કહ્યું શુદ્ધ પાણી મળવાથી બાળકોનું સ્વાસ્થ્ય સુધરશે
પીએમ મોદીએ આજે સોનભદ્ર અને મિર્ઝાપુર માટે 23 ગ્રામીણ પાઈપથી પીવાનું પાણી પહોંચાડવાની યોજનાનું શિલાન્યાસ કર્યું. પીએમ મોદીએ વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી આ પરિયોજનાઓની શરૂઆત કરાવી. આ કાર્યક્રમમાં રાજ્યના સીએમ યોગી આદિત્યનાથ સોનભદ્રથી જોડાયા હતા. આ યોજનાથી આશરે 41 લાખ લોકોને પીવાનું શુદ્ધ જળ મળી રહેશે જ્યારે આ યોજના પાછળ 5555 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું કે આ યોજના હેઠળ લાખો પરિવારોને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. તેમણે કહ્યું કે આઝાદી બાદથી જ આ ક્ષેત્રની ઉપેક્ષા થતી રહી અને વિન્ધ્યાન્ચલ તથા બુંદેલખંડ ઉપેક્ષાનો શિકાર થયા.
પીએમ મોદીએ પોતાના ભાષણમાં રહીમનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું વિન્ધ્ય પર્વત પુરાતનકાળથી જ વિશ્વાસ, પવિત્રતા અને આસ્થાનો કેન્દ્ર છે. જીવનની ખૂબ મોટી સમસ્યાનું હવે સમાધાન આવશે. આ વિશ્વાસ અને ઉત્સાહ મને તમારી અંદર દેખાઈ રહ્યો છે.
નોંધનીય છે કે કેન્દ્ર સરકાર હવે લોકોને ઘરે ઘરે જળ પહોંચાડવા માટે એક મિશન પર કામ કરી રહી છે. પીએમ મોદીએ તે અભિયાનનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ અભિયાનને એક વર્ષથી વધારે સમય થઇ ગયો છે અને આ દરમિયાન દેશના 2 કરોડ 60 લાખથી વધારે પરિવારને તેમના ઘરમાં જ શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે. તેમાં લાખો પરિવાર યુપીના છે. જળ જીવન મિશન હેઠળ ઘરે ઘરે પાઈપથી પાણી પહોંચાડવાના કારણે માતાઓ બહેનોનું જીવન સરળ થઇ રહ્યું છે. ગંદા પાણીના કારણે થતી બીમારીઓ ઓછી થઇ રહી છે.
પીએમ મોદીએ કહ્યું કે 3 હજાર ગામડાઓના 40 લાખ ઘરોમાં પાઈપથી પાણી આવશે તો લોકોનું જીવન બદલાશે.