કોરોના વાયરસના કારણે થયેલ લોકડાઉનમાં રોજગારી ગુમાવનાર લોકો માટે PM મોદીએ જે ગામમાં ગરીબ કલ્યાણ રોજગાર મિશનની શરુઆત કરાવી તે ગામમાં જ યોજનાના કોઈ લાભાર્થી નથી.
કોરોના વાયરસકાળમાં થયેલ લોકડાઉનમાં લાખો લોકોએ ગુમાવી રોજગારી
પીએમ મોદીએ ખગડિયા ગામથી શરુ કરાવી હતી યોજના
આ ગામમાં હાલમાં કોઈ લાભાર્થી જ નથી, શ્રમિકો તો જે તે રાજ્યમાં જતા પણ રહ્યા
કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં લાખો શ્રમિકોએ રોજગારી ગુમાવી અને મોટી સંખ્યામાં પ્રવાસી શ્રમિકોએ મોટા મોટા શહેરોમાંથી પોતાના ગૃહરાજ્ય તરફ પ્રયાણ કર્યું હતું. કરોડો લોકોએ એકસાથે પલાયન કરી દેતા તે લોકોને તેમના ઘરની આસપાસ જ રોજગાર મળી રહે તે માટે મોદી સરકારે ગારીન કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરાવી.
આ અભિયાન હેઠળ સરકારે છ રાજ્યોનાં 116 જિલ્લાનાં પ્રવાસી શ્રમિકોને રોજગાર આપવા વાત કહી હતી. તે માટે સરકારે 50 હજાર કરોડ રૂપિયાનું બજેટ પણ રાખ્યું હતું. પણ હવે એક અહેવાલ અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે પીએમ મોદીએ બિહારના ખગડિયા જિલ્લાના જે તેલીહાર ગામથી ગરીબ કલ્યાણ રોજગાર રોજગાર અભિયાનની શરૂઆત કરાવી તે ગામમાં યોજનાનો કોઈ લાભાર્થી જ નથી.
રિપોર્ટ અનુસાર યોજનાના શુભારંભમાં જે લોકોને કામ મળ્યું હતું તેમને પણ માત્ર એક મહિનો જ કામ કરવા મળ્યું કારણ કે ત્યાં પૂર આવી ગયું. તે બાદ તે મજૂરો પણ પોતાના રાજ્ય પરત જતા રહ્યા.
ગામના આગેવાને કહ્યું કે લોકડાઉનમાં 467 મજૂરો આવ્યા હતા જેમાંથી 120ને મનરેગા હેઠળ કામ આપવામાં આવ્યું પણ પૂર આવ્યું અને કામ રોકાઈ ગયું અને શ્રમિકો પણ રાજ્યોમાં પાછા જતા રહ્યા. આગેવાને એમ પણ કહ્યું કે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ કોઈ દિશા નિર્દેશ પણ આપવામાં આવ્યા નથી કે શ્રમિકોને યોજનાનો લાભ કઈ રીતે આપવામાં આવે.