‘નિસર્ગ’ વાવાઝોડાંની સંભવિત અસરના પગલે રાજ્ય સરકાર દ્વારા આગોતરા આયોજન હાથ ધરવામાં આવ્યા છે ત્યારે આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંભવિત વાવાઝોડાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાતચીત કરી હતી. મહત્વનું છે કે આ અગાઉ દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી વાતચીત કરી હતી.
ગુજરાત પર સંભવિત વાવાઝોડાની અસર મામલે PM મોદીએ કરી સમીક્ષા
PM મોદી અને CM રૂપાણી વચ્ચે સુરક્ષાને પગલે ટેલિફોનિક ચર્ચા
બચાવ કામગીરીની સ્થિતિ અંગે પણ PM મોદીને કરાયા અવગત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા નિસર્ગની આફત સામે રાજ્ય સરકારે કરેલા આગોતરા આયોજન અને પગલાંઓની વિસ્તૃત જાણકારી મેળવી હતી.
પીએમએ રાજ્ય સરકારે લીધેલા પગલાંઓથી સંતોષ વ્યક્ત કરીને આ સંભવિત વાવાઝોડા નિસર્ગની સ્થિતિને પહોંચી વળવા ગુજરાતને કેન્દ્ર સરકારની તમામ મદદની ખાતરી આપી હતી.
ગૃહમંત્રી અમિત શાહે રૂપાણી સાથે કરી હતી વાતચીત
આ અગાઉ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાત પર આવનારી સંભવિત ‘નિસર્ગ’ વાવાઝોડાની સ્થિતીના સામના માટે રાજ્ય સરકારોની સજ્જતા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને વિસ્તૃત જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર-અમરેલી જિલ્લામાં આ સંભવિત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે કરેલા આગોતરા આયોજનમાં NDRF ટીમ SDRF ટીમ તૈનાત રાખવામાં આવી છે.
કેન્દ્ર સરકાર સહકારની આપી ખાતરી
અમિત શાહે આ સાથે જ તેની તેમજ નીચાણવાળા વિસ્તારના લોકોના, માછીમારો-અગરિયાઓ અને ઝિંગા ફાર્મના લોકોને સલામત સ્થળે સ્થળાંતર સહિતની તૈયારીઓથી ગૃહમંત્રીને અવગત કર્યા હતા. કેન્દ્રિય ગૃહમંત્રીએ આ સંભવિત ‘નિસર્ગ’ વાવાઝોડાની સ્થિતીના મૂકાબલા માટે રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી પૂરા સહયોગની ખાતરી આપી હતી.