વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પશ્ચિમ બંગાળના હલ્દિયા પહોંચ્યા હતા. તેમણે BPCL અને દુર્ગાપુર નેચરલ ગેસ પાઇપ દ્વારા બનાવાયેલ એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલ રાષ્ટ્રને સમર્પિત કર્યું.
બંગાળમાં લોકોને પરિવર્તનની આશા હતી: પીએમ મોદી
અહી વિકાસને બ્રેક લગાડી દેવામાં આવી: વડાપ્રધાન
મમતા સરકાર એટલે ડાબેરીઓનું જ પુનરુત્થાન: પીએમ મોદી
પીએમ મોદીએ બંગાળના હલ્દિયામાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. તેઓએ ઉત્તરાખંડ દુર્ઘટના પર સૌ પ્રથમ દુ:ખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ઉત્તરાખંડના લોકો હાલમાં આપત્તિનો સામનો કરી રહ્યા છે.ગ્લેશિયરમાં ભંગાણને કારણે નદીનું પાણીનું સ્તર વધ્યું છે. હું ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત, ભારત સરકારના ગૃહ પ્રધાન સાથે સતત સંપર્કમાં છું. પીએમ મોદીએ કહ્યું કે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. તબીબી સુવિધાઓની ઉપલબ્ધિ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
પોતાના ભાષણમાં બંગાળના સીએમ મમતા બેનરજી પર કર્યા પ્રહારો
પીએમ મોદીએ પણ પોતાના સંબોધનમાં મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મમતા બેનર્જીને 'ભારત માતા કી જય' સાંભળવાનું પસંદ નથી. આ સૂત્ર સાંભળીને તેઓ ખૂબ ગુસ્સે થાય છે. જો તમે દીદીને બંગાળમાં તેના અધિકાર વિશે પૂછો તો તે ગુસ્સે થઈ જાય છે. પરંતુ દેશ સામે કોઈ અગર ઝેર ફેલાવી રહ્યું છે, તો દીદી ગુસ્સે થતા નથી.
બંગાળને મમતાની આશા હતી, પણ તેને નિર્મમતા મળી : પીએમ મોદી
અહીંની આ સ્થિતિનું પશ્ચિમ બંગાળનું રાજકારણ સૌથી મોટું કારણ છે. આઝાદી પછી, જ્યારે પશ્ચિમ બંગાળના વિકાસને નવી દિશા આપવાની જરૂર હતી, ત્યારે અહીં વિકાસનું રાજકારણ થઈ શક્યું નહીં. પહેલા કોંગ્રેસનું શાસન, પછી ભ્રષ્ટાચારનું વર્ચસ્વ. પછી ડાબેરીઓનો શાસન લાંબા સમય સુધી ચાલ્યું, તેઓએ વધતા ભ્રષ્ટાચાર, અત્યાચારોની સાથે વિકાસ પર બ્રેક લગાવી.
2011 માં, સમગ્ર રાષ્ટ્રની નજર બંગાળ પર હતી. ડાબેરીઓનો હિંસા અને ભ્રષ્ટાચારનો કિલ્લો તૂટી પડવાની આરે હતો. તે સમયે મમતા દીદીએ બંગાળમાં પરિવર્તનનું વચન આપ્યું હતું. તેમના વચનથી સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત થયું, લોકોએ તેમના પર વિશ્વાસ મૂક્યો. બંગાળને મમતાની આશા હતી પણ તેને તો નિર્મમતા જ મળી.
બંગાળને જે મળ્યું તે પરિવર્તન નથી : પીએમ મોદી
પરંતુ મમતા સરકારના પ્રથમ વર્ષમાં તે સ્પષ્ટ થઈ ગયું કે બંગાળને જે મળ્યું છે તે પરિવર્તન નથી, પરંતુ ડાબેરીઓનું પુનરુત્થાન છે. તે પણ વ્યાજ સાથે. ડાબેરીઓનું પુનરુત્થાન એટલે ભ્રષ્ટાચારનું પુનરુત્થાન, આમ પીએમ મોદીએ આજે તેમની બંગાળ મુલાકાતમાં આડકતરી રીતે ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંકી દીધું હતું.