ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં જોવા મળે છે. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ભારત જોડો યાત્રા છોડીને થોડાક દિવસમાં ગુજરાતમાં ચૂંટણી રેલીઓ કરશે. સત્તાધારી ભાજપે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે. આજથી PM મોદી 3 દિવસ ગુજરાતમાં પ્રવાસે છે.
અમરેલીમાં PM નરેન્દ્ર મોદી
આવતીકાલે અમરેલીમાં PM નરેન્દ્ર મોદી જંગી જાહેરસભાને સંબોધવાના છે. PM નરેન્દ્ર મોદીના આગમનને લઈ તંત્ર તરફથી તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ગત વિધાનસભામાં ભાજપે અમરેલીની પાંચે પાંચ બેઠક ગુમાવી હતી. ત્યારે આ વિધાનસભામાં પાંચે પાંચ બેઠક પર જીત મેળવવા સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતર્યા છે. દેશના પ્રધાનમંત્રી પણ ચૂંટણી પ્રચાર અર્થે અમરેલીના ફોરવર્ડ ગ્રાઉન્ડ ખાતે જંગી જાહેરસભાને સંબોધવાના છે. PM મોદીની સુરક્ષા માટે તંત્ર તૈયારીઓ કરી રહી છે અને તમામ તૈયારીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસની મોટી ફોજ પણ તૈનાત રહેશે. તેમજ એરપોર્ટથી લઈ સભા સ્થળ સુધી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
PM મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે
PM મોદી આજથી 21 નવેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે. ત્રણ દિવસમાં PM મોદી 8 જેટલી જનસભાને સંબોધન કરવાના છે. આજે દક્ષિણ ગુજરાતના વાપીમાં PM મોદી રોડ શો કરશે. વલસાડમાં પણ PM મોદી આજે જંગી જનસભાને સંબોધિત કરશે. 20 નવેમ્બરે PM મોદી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરશે તેમજ 20 નવેમ્બરે PM મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં પણ જનસભા સંબોધશે. તેમજ 21 નવેમ્બરે PM મોદીની સુરેન્દ્રનગરમાં જનસભા આયોજન કરાયું છે તો 21 નવેમ્બરે PM મોદી નવસારી અને જંબુસરમાં પણ જનસભાને સંબોધશે.
2017માં અમરેલી જિલ્લામાં કોનો કબજો
અમરેલી જિલ્લામાં 2017માં વિધનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પાંચે પાંચ બેઠક જીતી હતી જેમાં ધારી બેઠક પર જે.વી.કાકડીયાએ વિજય મેળવ્યો હતો અમેરેલી બેઠક પર પરેશ ધાનાણી તેમજ લાઠી બેઠક વિરજી ઠુમ્મર અને સાવરકુંડલા બેઠક પર પ્રતાપ દુધાતે વિજય મેળવ્યો હતો તેમજ રાજુલા બેઠક પર અમરીશ ડેર વિજય મેળવ્યો હતો
2012માં કોનો દબદબો હતો
અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોમાંથી ત્રણ ભાજપ અને બે કોંગ્રેસ જીતી હતી. જેમાં 94 ધારી વિધાનસભા બેઠક પર કોટડીયા નલીનભાઈ (BJP), 95 અમરેલી પર પરેશ ધાનાણી (કોંગ્રેસ) અને 96 લાઠી ભાવકુભાઈ (કોંગ્રેસ) તેમજ 97 સાવરકુંડલામાં વી વી વાઘાસિયા (BJP) અને 98 રાજુલા સોલંકી હિરાભાઈ (BJP)નો વિજય થયો હતો.