ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે પીએમ મોદીએ નાઈટ કર્ફ્યૂનું સમર્થન કર્યું છે અને લોકડાઉન કરવાની જરૂર નથી એમ કહ્યું છે.
પીએમ મોદીએ ગઇકાલે મુખ્યમંત્રીઓ સાથે કરી હતી બેઠક
નાઈટ કર્ફ્યૂથી લોકોને ખ્યાલ આવશે કે આપણે કોરોનાકાળમાં જીવી રહ્યા છે : પીએમ મોદી
અત્યારે સંપૂર્ણ લોકડાઉનની જરૂર નથી : પીએમ મોદી
દેશમાં કોરોના વાયરસના વધતાં કેસોથી જુદા જુદા રાજ્યોનું ટેન્શન વધ્યું છે ત્યારે વાયરસને રોકવા માટે જુદા જુદા રાજ્યોમાંઆ નાઈટ કર્ફ્યૂનું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ 20 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ કરવામાં આવ્યું છે ત્યારે નાઈટ કર્ફ્યૂને લઈને ઘણા બધા લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે શું કર્ફ્યૂ રાત્રે જ ફેલાય છે? પીએમ મોદીએ પણ આ મુદ્દે ગઇકાલે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં જવાબ આપ્યો છે.
નાઈટ કર્ફ્યૂ પાછળ શું છે લૉજિક?
પીએમ મોદીએ મુખ્યમંત્રીને સૂચન આપ્યા કે નાઇટ કર્ફ્યૂને કોરોના કર્ફ્યૂ નામ આપવામાં આવે જેથી લોકોમાં વધારે જાગરૂકતા આવે. પીએમ મોદીએ આ મુદ્દે જવાબ આપતા કહ્યું કે કેટલાક બુદ્ધિજીવી કહે છે કે શું કોરોના રાત્રે જ આવે છે? ખરેખર નાઈટ કર્ફ્યૂનો પ્રયોગ વિશ્વભરમાં કરવામાં આવ્યો છે કારણ કે દરેક વ્યક્તિને કર્ફ્યૂના સમયમાં ખ્યાલ આવે છે કે હું કોરોનાકાળમાં જીવી રહ્યો છું. સારું રહેશે કે જૉ નાઈટ કર્ફ્યૂ 9 વાગ્યાથી સવારે 5-6 વાગ્યા સુધી કરવામાં આવે જેથી બાકી વ્યવસ્થાઓ પ્રભાવિત ન થાય અને કોરોના કર્ફ્યૂ શબ્દનો પ્રયોગ કરવા માટે લોકોને એકજૂટ કરીને કામ કરવામાં આવે.
હાલ લૉકડાઉનની જરૂર નથી : PM મોદી
PM મોદીએ મુખ્યમંત્રીઓની બેઠક દરમ્યાન કહ્યું હતું કે હાલની પરિસ્થિતિ જોતા દેશમાં સંપૂર્ણ લૉકડાઉનની જરૂર નથી. નાઈટ કર્ફ્યૂ જ હાલમાં યોગ્ય છે. નાઈટ કર્ફ્યૂને બદલે હવે કોરોના કર્ફ્યૂ શબ્દનો પ્રયોગ આપણે કરીએ.
PM મોદીએ કહ્યું હતું કે આ બીજી લહેર પહેલાં કરતા વધારે ખતરનાક છે. આવામાં વૅક્સિન કરતા ટેસ્ટિંગની વધારે ચર્ચા કરવી પડશે અને તેના પર સૌથી વધુ ફોકસ કરવું પડશે. માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરો તો તેમાં એક પણ વ્યક્તિ ટેસ્ટિંગ વગરનો ન રહે તેવી સતર્કતા રાજ્યોએ રાખવી પડશે. ટ્રેકિંગ અને ટેસ્ટિંગ જેટલું સફળ બનાવશો તો રાજ્યોને પરિણામો જલ્દીથી સારા મળશે.
70 ટકા આરટી-પીસીઆર ટેસ્ટનું લક્ષ્ય
વડાપ્રધાને કહ્યું કે આપણું ટાર્ગેટ 70 ટકા સુધી આરટી-પીસીઆર ટેસ્ટનું લક્ષ્ય ચાલુ રાખવાનું છે. કોરોનામાંથી બહાર નીકળવાનો રસ્તો વધારે ટેસ્ટિંગ છે. પોઝિટીવિટી રેટ વધતા ગભરાવાની જરુર નથી. જ્યારે ટેસ્ટ થશે ત્યારે ઉપાય મળી રહેશે.
11થી 14 એપ્રિલ ત્રણ દિવસ ટીકા ઉત્સવ બનાવીએ
PM મોદીએ મુખ્યમંત્રીઓને પૂછ્યું કે શું આપણે 11 એપ્રિલ જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ છે અને 14 ડો. આંબેડર જ્યંતિ છે ત્યારે આ ત્રણ દિવસને આપણે રસીકરણ માટે ટીકા ઉત્સવ તરીકે ઉજવીએ. આ ત્રણ દિવસ દરમ્યાન 45થી વધુ ઉંમરની વધુમાં વધુ વ્યક્તિઓને રસી આપીએ. આ દરમ્યાન ઝીરો રસીનો બગાડ થાય તેવું નક્કી કરીએ.