મોદી સરકાર કેન્દ્રીય કેબીનેટમાં ફેરફાર કરે તેવી શક્યતા છે. પીએમ મોદીએ તમામ મંત્રીઓ પાસેથી હિસાબ માંગ્યો છે. સમીક્ષા બેઠક દરમિયાન બધા મંત્રીઓ પોતાનો રીપોર્ટ કાર્ડ રજૂ કરશે જેમાં ખરાબ કામગીરી કરનાર મંત્રીઓ સામે PMO દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે.
21 ડિસેમ્બરે તમામ મંત્રીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 ડિસેમ્બરનાં રોજ સમીક્ષા બેઠક બોલાવી છે. જેમાં બધા જ કેબીનેટ મંત્રીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. કેબીનેટ મંત્રીઓ પોતાના મંત્રાલયનું પ્રેઝેન્ટેશન રજૂ કરશે. સુત્રો મુજબ આ બેઠક બાદ કમજોર મંત્રીઓની હકાલપટ્ટી પણ કરી શકાય છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા પણ સામેલ થઇ શકે છે. પીએમ મોદીએ બધા જ મંત્રીઓ પાસે રીપોર્ટ મંગાવ્યો છે. તમામ મંત્રીઓ રીપોર્ટ કાર્ડથી યોજનાઓની સ્થિતિની જાણકારી પીએમ સમક્ષ રજુ કરશે.
નવી સરકારમાં અત્યાર સુધી નથી થયા કોઈ ફેરફાર
ફેરબદલ કરવામાં આવે તો મંત્રીમંડળમાં નવા ચેહરાઓને સ્થાન આપીશ શકાય છે. ઉલ્લેખનીય છે કે બીજી વાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી મંત્રીમંડળમાં કોઈ જ ફેરબદલ કર્યો નથી. પીએમ મોદીએ પાછલા કાર્યકાળ દરમિયાન ત્રણ ફેરબદલ કર્યા હતા. તથા પાછલી સરકારમાં છ મહિનાની અંદર જ ફેરબદલ કર્યા હતાં.
સરકાર અનેક સમસ્યાઓનો કરી રહી છે સામનો
બંધારણ મુજબ લોકસભામાં 545 સાંસદોમાંથી 15 ટકાથી વધુ મંત્રી બનાવી શકાય નહીં. નોંધનીય છે કે પોતાના આક્રમક નિર્ણયોનાં કારણે ભાજપ અને દેશભરમાં પીએમ મોદી લોકપ્રિય છે. સરકાર અત્યારે અર્થવ્યવસ્થા, મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાનો સામનો કરી રહી છે એવામાં મજબૂતીથી કામ કરી શકે તેવા વિશેષજ્ઞોને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.