કોરોના કાળમાં પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતામાં ખૂબ મોટો ઘટાડો થયો હોવાનું બે રિપોર્ટમાં જણાવાયું છે.
યુએસ કંપનીના રિપોર્ટમાં મોદીની લોકપ્રિયતાને ઓછી આંકવામાં આવી
ભારતીય સીવોટરમાં સરવે પણ મોદીની લોકપ્રિયતા ઘટી હોવાનું દર્શાવાયું
મોદીનું કુલ રેટિંગ ઘટીને 63 ટકા થયું
કોરોના કાળ પહેલા લોકપ્રિયતાની ટોચે બીરાજતા પ્રધાનમંત્રી મોદી હવે રેટિંગની દ્રષ્ટિએ થોડા નીચે આવ્યાં છે. કોરોના મહામારીમાં પ્રધાનમંત્રી મોદીની કુલ લોકપ્રિયતામાં ઓટ આવી હોવાનું બે રિપોર્ટમાં જણાવાયું છે.
યુએસ ડેટા ઈન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટે જણાવ્યું કે ચાલુ અઠવાડિયે ભારતમાં કોરોનાના કેસો 25 મિલિયનને પાર પહોંચ્યાં છે ત્યારે ભારતની કોવિડ તૈયારની પોલ ખુલી છે અને સાથે સાથે પ્રધાનમંત્રી મોદીની લોકોપ્રિયતામાં ઓટ આવી છે.
મોદીનું કુલ રેટિંગ ઘટીને 63 ટકા થયું
અમેરિકી કંપનીએ ઓગસ્ટ 2019 માં લોકપ્રિયતા પર નજર રાખવાનું શરુ કર્યું તે પછી અત્યાર સુધી મોદીનું કુલ રેટિંગ ઘટીને 63 ટકા થયું છે અને એપ્રિલમાં તો તેમની લોકપ્રિયતામાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તે વખતે મોદીની લોકપ્રિયતામાં 22 પોઈન્ટનો મોટો ઘટાડો થયો હતો.કોરોના મહામારી પહેલા પ્રધાનમંત્રીનું કુલ રેટિંગ 67 ટકાથી ઉપર હોવાનું રિપોર્ટમાં જણાવાયું હતું પરંતુ મહામારી સાથે મોદી સરકારે જે રીતે કામ પાર પાડ્યું તેને કારણે તેમની લોકપ્રિયતામાં ઓટ આવી હોવાનું પણ મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે.
એક વર્ષ પહેલા 65 ટકા લોકો પ્રધાનમંત્રી મોદીના કામથી ખૂબ સંતુષ્ટ હતા
હવે ઈન્ડીયન પોલિંગ એજન્સી CVOTER દ્વારા કરાયેલા સરવેમાં એક વર્ષ પહેલા 65 ટકા લોકો પ્રધાનમંત્રી મોદીના કામથી ખૂબ સંતુષ્ટ હતા. પરંતુ હવે પ્રધાનમંત્રીના કામકાજથી ફક્ત 37 ટકા લોકો સંતુષ્ટ છે. સાત વર્ષમાં પહેલી વાર મોદી સરકારના કામકાજ પર અસંતુષ્ટી જાહેર કરનાર લોકોની સંખ્યા ખૂબ મોટી છે. CVOTER ના ફાઉન્ડર યશવંત દેશમુખે જણાવ્યું કે પ્રધાનમંત્રી તેમની કારકીર્દીના સૌથી મોટો રાજકીય પડકારનો સામનો કરી રહ્યાં છે. દિલ્હી સહિત દેશના મોટાભાગના મહાનગર અને શહેરોમાં બેડ,ઓક્સિજન, દવાઓ તથા બીજા મેડિકલ સાધનોની અછતની વચ્ચે મોદીની લોકપ્રિયતામાં ખૂબ મોટો ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં હવે પરિસ્થિતિ સુધરી છે પરંતુ કોરોના હવે ગામડાઓમાં ખૂબ ઊંડે સુધી પ્રસર્યો છે અને તેને રોકવા સરકારે કોઈ પગલાં ન ભર્યાં હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું હતું.