પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચેતવણીની મધ્યપ્રદેશમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પર કોઈ અસર થતી લાગતી નથી. પ્રધાનમંત્રીની કડક ચેતવણીના એક દિવસ બાદ પાર્ટીના અમરપાટના ભાજપના ધારાસભ્ય, રામખેલાવન પટેલે સતના જિલ્લામાં એક નગરપાલિકા અધિકારી પર કથિત રુપે હુમલો કરવાના ગુનામાં ઝડપાયેલ પાર્ટીના સહયોગીને મુક્ત કરાવવા માટે થઇને રક્ત વહેવડાવાની વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રામનગરમાં જાહેર સભાને સંબોધતા રામખેલાવન પટેલે પાર્ટીના નેતા અને રામનગર મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ રામ સુશીલ પટેલને મુક્ત કરવાની વાત કરી હતી. જેણે 28 જૂનના રોજ મ્યુનિસિપાલિટીના ચીફ મ્યુનિસિપલ ઓફિસર દેવકરણ સોની(સીએમઓ) પર હુમલો કરીને માર માર્યો હતો. આ મામલે રામ સુશીલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પટેલે ત્યાં હાજર કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, હું આપને વચન આપવા માંગુ છું કે, અમે રામ સુશીલ પટેલને જેલની બહાર લઇ આવીશું. તેના માટે ભારતીય જનતા પાર્ટીઓ પોતાનું લોહી રેડવું પડે, અમે લોહી વહાવી દઇશું. પટેલના આ પ્રકારના વિવાદિત નિવેદન સમયે તેઓ એકલા સભામાં હાજર નહોંતો પરંતુ તેમની સાથે પાર્ટીના ધારાસભ્ય શારેંદુ તિવારી તથા સતના જિલ્લા ભાજપના અધ્યક્ષ પણ સભામાં હાજર હતા.