ભાજપની પ્રચંડ જીત બાદ આ કાર્યક્રમની ભવ્યતાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીનાં નિર્દેશો અનુસાર આ સમારોહને સાદગીપૂર્ણ અને ગંભીર રૂપ આપવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન કોઇ એક કાર્યક્રમ માટે પહેલી વખત આટલી મોટી સંખ્યામાં લોકો માટે મેજબાની કરનાર છે. એટલે કે આ પ્રસંગ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો બીજી વખતનો શપથ ગ્રહણ સમારોહનો. આ કાર્યક્રમમાં 5000થી 6000 લોકો હાજર રહે તેવી શક્યતા છે. પીએમ મોદીની સાથે-સાથે તેમનું મંત્રીમંડળ પણ શપથ લેશે.
શપથગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનની બહારનાં પ્રાંગણમાં યોજાશે. મુખ્ય દ્વારા અને મુખ્ય ભવનની વચ્ચે એક રસ્તો બનાવવામાં આવશે કે જેનો ઉપયોગ રાજ્યનાં પ્રમુખો અને દેશોનાં શાસનાધ્યક્ષોનાં ઔપચારિક સ્વાગત માટે કરવામાં આવશે.
આ ચોથો મોકો હશે કે જ્યારે પ્રધાનમંત્રી પદની શપથ દરબાર હોલની જગ્યાએ રાષ્ટ્રપતિ ભવનની બહારનાં પ્રાંગણમાં થશે. દરબાર હોલમાં અંદાજે 500 લોકોનો સમારોહ જ સંભવ છે. સૌથી પહેલા ચંદ્રશેખરે 1990માં બહારનાં પ્રાંગણમાં પ્રધાનમંત્રી પદની શપથ લીધી હતી, ત્યાર બાદ અટલ બિહારી વાજપેયીએ 1998માં અને ત્યાર બાદ 2014માં મોદીએ બહારનાં પરિસરમાં શપથગ્રહણ કર્યુ હતું. 2014માં પીએમ મોદીનાં શપથ ગ્રહણ કાર્યક્રમમાં સાર્ક દેશોનાં પ્રમુખો સિવાય અંદાજે 4000 મહેમાનોએ ભાગ લીધો હતો.
મોદીનાં શપથગ્રહણ સમારોહમાં કોને-કોને આમંત્રણ?
કોંગ્રેસનાં નેતાઓને આમંત્રણઃ
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસનાં ચેરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આમંત્રણ અપાયું. કોંગ્રેસ શાસિત રાજ્યનાં CMને પણ આમંત્રણ અપાયું. મહાસચિવ પ્રિયંકા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું. ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને પણ શપથગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ હવે આ શપથગ્રહણ સમારોહમાં હાજર નહીં રહી શકે. મમતા બેનરજીએ કહ્યું કે, 'શપથગ્રહણ એ લોકતંત્રનો પવિત્ર ઉત્સવ છે. તેઓ હાજર રહેવાનાં હતાં પરંતુ નારાજગીને લઇને તેઓ હવે આવતીકાલે શપથગ્રહણ સમારોહમાં હાજર નહીં રહે. ભાજપનાં માર્યા ગયેલા કાર્યકર્તાઓનાં પરિવારને આપેલા આમંત્રણ મામલે તેઓએ નારાજગી વ્યક્ત કરી છે.'
આ વખતે સમારોહમાં 14 દેશોનાં પ્રમુખ, કેટલાંક દેશોનાં રાજદૂત, બુદ્ધિજીવ, રાજકીય એક્ટિવિસ્ટ, ફિલ્મ સ્ટાર અને સેલિબ્રિટીને બોલાવવામાં આવ્યાં છે. જાણકારોનું માનીએ તો આ કાર્યક્રમમાં ક્ષેત્રીય અને રાષ્ટ્રીય પાર્ટીઓનાં પ્રમુખો સિવાય અનેક વરિષ્ઠ રાજનેતાઓને પણ બોલાવવામાં આવ્યાં છે.
આ દેશોને અપાયું આમંત્રણઃ
વિદેશ મંત્રાલય તરફથી BIMSTEC દેશોનાં નેતાઓને પ્રધાનમંત્રી પદનાં શપથગ્રહણ સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યાં છે. BIMSTEC દેશોમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ અને ભૂટાન દેશ શામેલ છે. આ સિવાય વિદેશ મંત્રાલય તરફથી મૉરિશસનાં પ્રધાનમંત્રી અને કિર્ગિસ્તાન રિપબ્લિકનાં રાષ્ટ્રપતિને પણ સમારોહમાં શામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીઓની યાદીઃ
મુખ્યમંત્રીઓની યાદીમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી, JD(S) નેતા અને કર્ણાટકનાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી, AAP નેતા અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, તેલંગાણાનાં મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી વાઇએસ જગનમોહન રેડ્ડીને પણ આમંત્રિત કરવામાં આવેલ છે. TRS ચીફ કેસીઆર અને YSR કોંગ્રેસ પાર્ટીનાં ચીફ વાઇએસ જગનમોહન રેડ્ડી પ્રધાનમંત્રી મોદીનાં શપથગ્રહણ સમારોહમાં શામેલ થશે. વાઇ એસ જગનમોહન રેડ્ડી પણ 30મેનાં બપોરનાં રોજ આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.
આ શપથગ્રહણ સમારોહની જો વાત કરીએ તો તે લગભગ એવો હશે કે જેમ 2014માં યોજાયો હતો. બહારનાં પ્રાંગણની કેન્દ્રીય જગ્યા પર મહેમાનોને બેસવાની વ્યવસ્થા થશે. આ સમારોહ સાંજનાં 7 વાગ્યે સમારોહ બાદ અતિથિઓ માટે ડિનરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ડિનરમાં વેજ અને નોનવેજ એમ બંનેની વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનનાં રસોઇઘરને નિર્દેશ આપવામાં આવ્યો છે કે અતિથિઓમાં ઘણા લોકો ભારતનાં પૂર્વ વિસ્તારથી પણ છે, જ્યાં ડિનર ખૂબ જ લાઇટ રાખવામાં આવે છે. ડિનર મેન્યુમાં 'દાળ રાયસીના'ને પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેને બનાવવાની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે. ગુરુવાર રાત્રીનાં ભોજન માટે રાષ્ટ્રપતિ ભવને 48 કલાક પહેલાં જ તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.
મળતી માહિતી અનુસાર ભારતનાં સુપરસ્ટાર રજનીકાંત અને દક્ષિણનાં પ્રસિદ્ધ અભિનેતા અને તાજેતરમાં જ રાજનીતિમાં એન્ટ્રી મારનાર કમલ હાસન પણ પીએમ મોદીનાં શપથગ્રહણ સમારોહમાં શામેલ થવાની આશા છે. જો કે, બોલીવુડથી હજી મહેમાનોની યાદી આવવાની બાકી છે પરંતુ બોલીવુડનાં કેટલાંક કલાકારો પણ પોતાની હાજરી વ્યક્ત કરવાનાં છે.