વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુવાનીમાં દરરોજ માતા દેવીને પત્રો લખતા હતા. તે પોતાના પત્રોમાં માતાને 'જગત જનની' સંબોધન આપતા હતા. પીએમ મોદી સૂતા પહેલા દરરોજ એક પત્ર લખતા હતા. હાર્પર કોલિન્સ ઇન્ડિયા હવે તેમના દ્વારા લખાયેલા આ પત્રો પ્રકાશિત કરવા જઈ રહ્યું છે. પત્રના વિષયો વિવિધ હતા. ક્યારેક તે દુ:ખ તો ક્યારેક ખુશી વિશે હોતા હતા, તો ક્યારેક યાદો વિશે. આ પત્રો મોદીની ડાયરીમાંથી લેવામાં આવ્યા છે.
હાર્પર કોલિન્સ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે પ્રખ્યાત ફિલ્મ વિવેચક ભાવના સોમાયા દ્વારા ગુજરાતી ભાષામાંથી અનુવાદિત 'લેટર્સ ટુ મધર' ઇ-બુક અને પુસ્તક ફોર્મેટમાં રજૂ કરવામાં આવશે. આ પત્રો 1986 માં લખેલી મોદીની ડાયરીમાંથી લેવામાં આવ્યા છે. હાર્પર કોલિન્સ ઇન્ડિયાએ મોદી તરફથી એક નિવેદન આપ્યું હતું જેમાં PM મોદીએ કહ્યું હતું કે આ એક સાહિત્યિક લેખનનો પ્રયત્ન નથી પરંતુ આ પુસ્તકમાં શામેલ અંશ એ મારા દ્રષ્ટિકોણ અને ક્યાંક બિલકુલ સ્પષ્ટ કહી શકાય એવા મારા વિચારોનું પ્રતિબિંબ છે.
લેટરમાં લખતા હતા આ વાતો
તેમણે કહ્યું છે કે હું લેખક નથી. આપણામાંથી મોટા ભાગના લોકો લેખક નથી હોતા પરંતુ દરેક વ્યક્તિ પોતાના વિચારો અભિવ્યક્ત કરતો હોય છે. જયારે તેને જાહેર કરવાનો આગ્રહ પ્રબળ થઇ જાય ત્યારે તેની પાસે કાગળ અને કલમ સિવાય કોઈ રસ્તો બચતો નથી. જરૂરી નથી કે ફક્ત લખવા માટે જ પણ આત્મચિંતન કરીને અને હ્રદયમાં અને મનમાં ચાલી રહેલી આંટીઘૂંટી ક્યારે થાય છે અને કેમ થાય છે તેમ જાણવા માટે પણ લખવું જરૂરી છે.
લેટર લખીને તેને થોડા મહિનાઓમાં ફાડી નાખતા
હાર્પરકોલિન્સ ઇન્ડિયાના કહેવા પ્રમાણે મોદીના લેખનમાં એક નવયુવાનની અંદરનો ઉત્સાહ અને બદલાવનું ઝનૂન છે પરંતુ દર થોડા મહિને તેઓ પાના ફાડી નાખતા હતા અને તેને બાળી નાખતા હતા. જો કે 1986માં લખાયેલી એક ડાયરીના થોડા પાના બચી ગયા છે. આ પાના સૌપ્રથમ વખત અંગ્રેજીમાં પ્રકાશિત થઇ રહ્યા છે. સિનેમા ઉપર ઘણા પુસ્તકો લખી ચુકેલી ભાવના સોમાયાએ કહ્યું કે તેમના મતે એક લેખકના રૂપમાં નરેન્દ્ર મોદીની શક્તિ તેમની ભાવનાઓમાં રહેલી છે.