વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને પત્ર લખીને તેમની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઇસ્લામાબાદ સ્થિત ભારતના હાઈ કમિશને આ પત્ર નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝને સુપરત કર્યો હતો.
પીએમ મોદીએ પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફને પત્ર લખ્યો
પત્રમાં નવાઝ શરીફની માતાના નિધન પર શોક વ્યકત કર્યો
નવાઝ શરીફની માતાને 2015માં મળ્યા હતા પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ ને એક પત્ર લખીનેપૂર્વ પાક વડા પ્રધાનની માતા બેગમ શમીમ અખ્તરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 22 નવેમ્બરના રોજ બેગમ શમીમ અખ્તરનું લંડનમાં અવસાન થયું. ઇસ્લામાબાદ સ્થિત ભારતના હાઈ કમિશને નવાઝ શરીફ ની પુત્રી મરિયમ નવાઝને આ પત્ર મોકલ્યો હતો અને તેના વિશે તેના પિતાને જાણ કરવા કહ્યું હતું.
પત્ર પર 11 ડિસેમ્બરની તારીખ લખેલી છે
ભારતીય હાઈ કમિશન દ્વારા મરિયમ નવાઝ શરીફ ને લખેલા પત્ર પર ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનના ડેપ્યુટી કમિશનર ગૌરવ આહલુવાલિયા દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 11 ડિસેમ્બરની તારીખ તેના પર લખેલી છે. ગૌરવ આહલુવાલિયાને હવે અલ્જેરિયામાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 2005 ની બેચના ભારતીય વિદેશી સેવા IFS અધિકારી ટૂંક સમયમાં જવાબદારી સંભાળશે.
નવાઝની માતાએ લંડનમાં અંતિમ શ્વાસ લીધા
નવાઝ શરીફ ની માતા બેગમ શમીમ અખ્તર 91 વર્ષની હતી. તે છેલ્લા એક મહિનાથી બીમાર હતી. તે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં લંડન ગઈ હતી અને ત્યાં નવાઝ શરીફ અને પરિવારના અન્ય સભ્યો સાથે રહેતી હતી. નવાઝ શરીફ પણ છેલ્લા એક વર્ષથી લંડનમાં રહે છે. લંડનમાં તેમના અવસાન પછી, બેગમ શમીમ અખ્તરની લાશ લાહોરના જાતિ ઉમરામાં શરીફ પરિવારના પૂર્વજોના ગામમાં લઈ જવામાં આવી, જ્યાં તેમને સુપુર્દ એ ખાક કરવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ 2015ની તેમની પાક મુલાકાતને યાદ કરી હતી
પીએમ મોદી એ પોતાની 2015ની મુલાકાતને યાદ કરી હતી, મહત્વનું છે કે ડિસેમ્બર 2015 માં પીએમ મોદી અચાનક લાહોર પહોંચ્યા હતા, જ્યારે તે કાબુલથી ભારત પરત આવી રહ્યા હતા. ત્યાંથી તે હેલિકોપ્ટર દ્વારા પાકિસ્તાનમાં નવાઝ શરીફ ના નિવાસ સ્થાને ગયા હતા, જ્યાં તેમણે નવાઝ શરીફ ની નવાસીના લગ્નમાં હાજરી આપી હતી. દિલ્હી જવાના પહેલા તેમણે તેમના પાકિસ્તાની સમકક્ષ સાથે ટૂંકી મુલાકાત પણ કરી હતી. એક દાયકા કરતાં પણ વધુ સમયમાં કોઈ ભારતીય વડા પ્રધાનની આ પહેલી પાકિસ્તાન મુલાકાત હતી.
પીએમ મોદી ની લાહોર મુલાકાત પછી ભારત-પાકિસ્તાનના સંબંધો સુધરવાની આશા જાગી હતી, પરંતુ 2 જાન્યુઆરીએ પઠાણકોટ એરબેઝ પર આતંકવાદી હુમલો થયા બાદ ફરીથી આશા ઠગારી નીવડી હતી. આ હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓનો હાથ હોવાનું બહાર આવ્યું હતું.