કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું એક વર્ષ આજે પુરું થઈ રહ્યું છે. આ અવસરે પીએમ મોદીએ દેશની જનતાના નામે એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે છેલ્લા એક વર્ષમાં સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે તેમણે એ પણ કહ્યું કે, એક વર્ષમાં લેવાયેલા નિર્ણયો મોટા સપનાની ઉડાન છે. આ પત્રમાં પીએમ મોદીએ કોરોના સામેની લડાઈમાં દેશ એક થઈને લડી રહ્યો હોવાની ખૂબ પ્રશંસા પણ કરી છે.
મોદી સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ
એક વર્ષની કાર્યસિદ્ધિઓનો કર્યો ઉલ્લેખ
કોરોના સામેની લડાઈમાં દેશવાસીઓની કરી પ્રશંસા
પીએમ મોદીએ પત્રમાં લખ્યું છે કે, ગત એક વર્ષમાં દેશે ઐતિહાસિક નિર્ણયો કર્યાં, પરિણામ સ્વરૂપ દેશે ઝડપથી પ્રગતિ કરી છે. આ પત્ર મારફતે તેમણે પ્રવાસી શ્રમિકો અને અન્ય લોકો પ્રત્યે સંવેદના પણ પ્રગટ કરી છે, જેમણે કોરોનાના સંકટ દરમિયાન ખૂબ પીડા સહન કરવી પડી છે. તેમણે ભવિષ્યવાણી કરતા કહ્યું છે કે, ભારત આર્થિક પુનરુત્થાનમાં એક સારું ઉદાહરણ પૂરું પાડશે અને દુનિયાને આશ્ચર્યચકિત કરી દેશે, જેવું તેણે કોરોના સામેની લડાઈમાં કર્યું છે.
આજનો આ દિવસ મારા માટે અવસર છે તમને નમન કરવાનોઃ પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ પત્રમા લખ્યું કે, આજથી એક વર્ષ પહેલાં ભારતીય લોકતંત્રના ઈતિહાસમાં એક નવો સ્વર્ણિમ અધ્યાય જોડાયો હતો. દેશમાં દાયકાઓ બાદ પૂર્ણ બહુમતીની કોઈ સરકારને સતત બીજીવાર જનતાએ જવાબદારી સોંપી હતી. આ અધ્યાયને રચવામાં તમારી ખૂબ મોટી ભૂમિકા રહી છે. તેવામાં આજનો આ દિવસ મારા માટે અવસર છે તમને નમન કરવાનો, ભારત અને ભારતીય લોકતંત્ર પ્રત્યે તમારી આ નિષ્ઠાને પ્રણામ કરવાનો. તેમણે લખ્યું કે, જો સામાન્ય સ્થિતિ હોત તો મને તમારી વચ્ચે આવીને તમારા દર્શનનું સૌભાગ્ય મળત, પરંતુ વૈશ્વિક મહામારીને કારણે જે પરિસ્થિતિઓ બની છે, તેના કારણે હું આ પત્ર દ્વારા તમારા આશીર્વાદ લેવા આવ્યો છું.
ભારતીયોની સામૂહિક તાકાત અને સામર્થ્ય અન્ય શક્તિશાળી દેશોની સરખામણીમાં ખૂબ વધારેઃ પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ પત્રમાં લખ્યું છે કે, તમે બધા લોકોએ સાબિત કર્યું છે કે ભારતીયોની સામૂહિક તાકાત અને સામર્થ્ય અન્ય શક્તિશાળી દેશોની સરખામણીમાં ખૂબ વધારે છે. કોરોનાના સંક્ટમાં એવું બિલકુલ નહીં કહી શકાય કે કોઈએ મુશ્કેલીઓ નથી વેઠવી પડી. ઉદ્યોગોમાં કામ કરતા લોકો પ્રવાસી શ્રમિકોએ આ દરમિયાન અસાધારણ મુશ્કેલીઓ વેઠી છે. આ લોકો તમામ દુઃખ સહન કરીને પણ કોરોના સામે ચાલી રહેલી લડાઈમાં સાથ આપી રહ્યા છે.
એક વર્ષમાં સરકારે જ ઐતિહાસિક નિર્ણય કર્યાંઃ પીએમ મોદી
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ પોતાની સરકારના કામકાજનું વિવરણ આપ્યું પણ હતું. તેમણે કહ્યું કે, ગત એક વર્ષમાં સરકારે જ ઐતિહાસિક નિર્ણય કર્યાં તેનો ઉલ્લેખ એક પત્રમાં કરવો મુશ્કેલ છે, પરંતુ હું આ પ્રસંગે એટલું કહીશ કે એક વર્ષમાં મારી સરકારે દરરોજ ૨૪ કલાક સંપૂર્ણ તાકાત અને જોશ સાથે નિર્ણયો લાગૂ કર્યાં છે.
પીએમ મોદીએ એરસ્ટ્રાઈકને લઈને વ્યક્ત કર્યો સંતોષ
વડાપ્રધાન મોદીએ તેમના પત્રમાં પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઇક પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે પત્રમાં રામ મંદિર, નાગરિકતા સંશોધન કાયદાનો પણ ઉલ્લેખ કર્યો છે. પીએમ મોદીએ લખ્યું કે, જે નિર્ણયની લોકો સદીઓથી રાહ જોતા હતા, તે વિવાદનો સૌહાર્દપૂર્ણ રીતે અંત આવ્યો છે. આ પ્રસંગે તેમણે ટ્રિપલ તલાકનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અમારી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-૩૭૦ હટાવીને દેશમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને વધારે મજબૂત કરવાનું કામ કર્યું છે.
સરકારે ગરીબોના ઉત્થાન માટે રાત-દિવસ પ્રયાસ કર્યાઃ પીએમ મોદી
પીએમ મોદીએ પત્રમાં લખ્યું કે, લોકોએ મોદી સરકારને બીજો મોકો એ માટે આપ્યો કારણ કે તેઓ પ્રથમ વખત કરેલા કામોને સમર્થન આપવા માંગે છે. વડાપ્રધાને લખ્યું કે, વર્ષ ૨૦૧૪થી ૨૦૧૯ વચ્ચે દુનિયા સામે ભારતનું કદ વધ્યું છે. અમારી સરકારે ગરીબોના ઉત્થાન માટે રાત-દિવસ પ્રયાસ કર્યા છે. દેશમાં ગરીબો માટે મફત ગેસ, વીજળી કનેક્શન, ઘર, શૌચાલય આપવાની દિશામાં કામ થયું છે.
સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ સાથે આગળ વધ્યું
પ્રથમ કાર્યકાળ બાદ ગત વર્ષે વડાપ્રધાન તરીકે પોતાનો બીજો કાર્યકાળ શરૂ કરનારા પીએમ મોદીએ લખ્યું કે, ૨૦૧૯માં તમારા આશીર્વાદ, જનતાના આશીર્વાદ, દેશના મોટા સપનાઓ માટે હતા, આશાઓ-આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે હતા. એક વર્ષમાં લેવાયેલા નિર્ણયો આ મોટા સપનાની ઉડાન છે. તેમણે આગળ લખ્યું કે, સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ- આ મંત્રને લઈને આજે દેશ સામાજીક હોય કે આર્થિક, વૈશ્વિક હોય કે આંતરિક, દરેક દિશામાં આગળ વધી રહ્યો છે.