અફઘાનિસ્તાનના કાબુલમાં ગુરુદ્વારા પર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સવિન્દર સિંહની 'અંતિમ પ્રાર્થના'નું આયોજન દિલ્હીના તિલક નગરમાં ગુરુદ્વારા ગુરુ અર્જન દેવજી ખાતે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ મૃતકના પરિવારજનોને મળ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પત્ર પણ વાંચ્યો.
PM મોદીએ સવિંદર સિંહના પરિવારને લખ્યો હતો પત્ર
વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ લખ્યું, 'અફઘાન શીખ સમુદાયના પ્રિય સભ્યો, 18 જૂન 2022ના રોજ કાબુલમાં ગુરુદ્વારા દશમેશ પિતા સાહેબ શ્રી ગોવિંદ સિંહ સાહેબજી પર થયેલા બર્બર હુમલા સામે હું તમારી હિંમત અને સાહસની ભાવનાને સલામ કરું છું. ધાર્મિક સ્થળ પર આતંકવાદી હુમલો અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવું એ માનવતા વિરુદ્ધનું ઘૃણાસ્પદ કૃત્ય છે.
PM મોદીએ સ્વર્ગસ્થ સવિંદર સિંહ અને ગુરુદ્વારાના કર્મચારીના પ્રત્યે શોક પ્રગટ કર્યો
PM મોદીએ આગળ લખ્યું, 'હું આતંકવાદી હુમલાના પીડિતો, સ્વર્ગસ્થ સવિંદર સિંહ અને ગુરુદ્વારાના કર્મચારી અહેમદ મોરાદી (અફઘાન નાગરિક) માટે પ્રાર્થના કરું છું. હું તેમના પરિવારના સભ્યો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. હું આતંકવાદી હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સમુદાયના ત્રણ સભ્યોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરું છું. PM મોદીએ આગળ લખ્યું,'દુઃખ અને દર્દની આ મુશ્કેલ ઘડીમાં હું અફઘાન હિન્દુ-શીખ સમુદાય સાથે ભારતની એકતા વ્યક્ત કરવા માંગુ છું.'
કાબુલના ગુરુદ્વારા પર શનિવારના હુમલામાં માર્યા ગયેલા સવિંદર સિંહની પત્ની પાલ કૌરે કહ્યું કે તેનો પતિ વિઝા મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને જો સમયસર વિઝા મળી ગયો હોત તો કદાચ તેનો જીવ બચી ગયો હોત. સવિન્દર સિંહ કાબુલમાં પાનની દુકાન ચલાવતો હતો અને ગુરુદ્વારામાં રહેતો હતો. તેણે ઈ-વિઝા માટે અરજી કરી હતી જે રવિવારે મંજૂર થઈ હતી.
સવિન્દર સિંઘ પર અનેક ગોળીઓ ચલાવવામાં આવી હતી
સવિન્દર સિંહના પરિવારના એક સભ્યએ દિલ્હીમાં જણાવ્યું કે જ્યારે તેમના પર હુમલો થયો ત્યારે તેઓ સ્નાન કરી રહ્યા હતા અને તેમના પર અનેક ગોળી ચલાવવામાં આવી હતી. ગુરુદ્વારામાં અનેક વિસ્ફોટ થયા હતા, જેમાં એક શીખ સહિત બે લોકો માર્યા ગયા હતા. તે જ સમયે, અફઘાન સુરક્ષા કર્મચારીઓએ વિસ્ફોટકોથી ભરેલા વાહનને ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવીને મોટી ઘટનાને ટાળી હતી. ઇસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને તેને "પયગંબર મહમ્મદના સમર્થનમાં હુમલો" ગણાવ્યો છે.