હોળી-ધૂળેટીના પાવન પર્વ નિમિત્તે દેશભરમાં અનેક જગ્યાઓ પર અલગ-અલગ અંદાજમાં આજે હોળીનો ઉત્સવ ઉજવવામાં આવશે. ત્યારે PM મોદીએ પણ દેશવાસીઓને હોળીની શુભકામના પાઠવી છે.
PM મોદીએ દેશવાસીઓને પાઠવી હોળીની શુભકામના
ટ્વિટ કરીને કહ્યું કે, 'આ તહેવાર તમારા જીવનમાં ખુશીઓના દરેક રંગ લઈને આવે'
જાણો દેશમાં કઇ-કઇ રીતે ઉજવાય છે હોળીનો તહેવાર?
PM મોદીએ પણ દેશવાસીઓને હોળીની શુભકામના પાઠવતા ટ્વિટ કરીને જણાવ્યું કે, 'આપ સૌને હોળીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. પરસ્પર પ્રેમ, સ્નેહ અને ભાઈચારાનું પ્રતીક રંગોનો આ તહેવાર તમારા જીવનમાં ખુશીઓના દરેક રંગ લઈને આવે.' નોંધનીય છે કે, PM મોદી સહિતના નેતાઓ અવારનવાર આવા તહેવારો પ્રસંગે કોઇને કોઇ રીતે ટ્વિટ કરીને દેશની જનતાને શુભકામના પાઠવતા જ હોય છે. ત્યારે આજે હોળીના પાવન પર્વ નિમિત્તે વડાપ્રધાન મોદીએ દેશની જનતાને શુભકામના પાઠવી છે.
आप सभी को होली की हार्दिक शुभकामनाएं। आपसी प्रेम, स्नेह और भाईचारे का प्रतीक यह रंगोत्सव आप सभी के जीवन में खुशियों का हर रंग लेकर आए।
જો કે, તમને જણાવી દઇએ કે, દેશભરમાં આ હોળીના તહેવારની ઉજવણી જુદી-જુદી રીતે કરવામાં આવતી હોય છે. ત્યારે એ પણ જાણવા જેવું છે કે, આખરે દેશના વિવિધ ભાગોમાં હોળીના પર્વને કેમ અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. જેમાં ક્યાંક લઠ્ઠમાર હોળી તો ક્યાંક જૂતાથી હોળીની ઉજવણી કરાય છે તો ક્યાંક ફુલો વરસાવીને તો ક્યાંક અગ્નિના સળગતા અંગારા સાથે પણ હોળી રમવામાં આવે છે.
આગથી હોળી રમવાની પ્રથા: સૌ પહેલાં મધ્યપ્રદેશના માલવા અને કર્ણાટકના અનેક વિસ્તારોમાં રમાતી હોળીની વાત કરીએ તો અહીં હોળીના દિવસે એકબીજા પર સળગતા અંગારા ફેંકવાની પ્રથા છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી હોલિકા રાક્ષસી મૃત્યુ પામે છે.
હોળી પર જીવનસાથીની શોધ: મધ્યપ્રદેશના ભીલ આદિવાસીઓ હોળીના દિવસે તેમના જીવનસાથીને મળવાની પરંપરા હોય છે. આ દિવસે હાટમાં બજાર ગોઠવવામાં આવે છે. છોકરાઓ અને છોકરીઓ પોતાના માટે જીવનસાથી શોધવા માટે આ માર્કેટમાં આવે છે. ત્યાર બાદ આ આદિવાસી છોકરાઓ જ્યારે એક ખાસ પ્રકારનું વાદ્ય વગાડતા ડાન્સ કરે છે, ત્યારે તેમની મનપસંદ છોકરીને ગુલાલ ઉડાડે છે.
જો તે છોકરીને પણ તે છોકરો પસંદ પડી જાય તો તે છોકરી પણ બદલામાં તે છોકરાને ગુલાલ લગાવે છે. બંનેની સંમતિ બાદ છોકરો છોકરીને લઈ જાય છે અને લગ્ન કરી લે છે.
રાજસ્થાનમાં શોકની હોળી: રાજસ્થાનના પુષ્કર્ણ બ્રાહ્મણની ચોવટિયા જોશી જાતિના લોકો હોળી પર ખુશીને બદલે શોક વ્યક્ત કરે છે. આ દિવસે ઘરોમાં ચૂલો પ્રગટાવવામાં નથી આવતો. ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તેમ આ દિવસે શોક મનાવવામાં આવે છે. આવું કરવા પાછળની વાસ્તવિકતા એક જૂની વાર્તા છે.
એવું કહેવાય છે કે, વર્ષો પહેલાં આ જાતિની એક મહિલા હોલિકા દહનના દિવસે હોલિકાની આસપાસ ફરતી હતી. તેના હાથમાં તેનું બાળક પણ હતું. પરંતુ તે બાળક આગમાં લપસીને પડી ગયું હતું. બાદમાં બાળકને બચાવવા માટે મહિલા પણ આગમાં કૂદી પડી હતી. આ રીતે બંનેના મોત થયા હતાં. મરતી વખતે મહિલાએ ત્યાં હાજર લોકોને કહ્યું હતું કે, 'હવે ક્યારેય હોળી પર કોઈ ખુશી ન મનાવતા. ત્યારથી આજે પણ આ લોકો આ પ્રથાનું પાલન કરે છે.'
રાખ પર ચાલવાની પરંપરા: રાજસ્થાનના બાંસવાડામાં રહેતા આદિવાસીઓમાં રમાતી હોળીમાં ગુલાલની સાથે હોલિકા દહનની રાખ પર ચાલવાની પરંપરા છે. અહીના લોકો રાખની અંદર દટાયેલી આગ પર ચાલે છે. એ સિવાય અહીં એકબીજા પર પથ્થર ફેંકવાનો પણ રિવાજ છે. આ પ્રથા પાછળ એક માન્યતા એવી છે કે, 'આ હોળી રમવાથી જે લોહી નીકળે છે તે વ્યક્તિનો આવનાર સમય સારો બનાવે છે.'