PM મોદી એક વાર ફરી તારીખ 18થી 20 એપ્રિલ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. જેમાં વિવિધ કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન મોદી ફરી વાર ગુજરાત પ્રવાસે
18થી 20 એપ્રિલ આવશે ગુજરાત પ્રવાસે
જાણો શું છે 3 દિવસીય કાર્યક્રમનું આયોજન?
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વાર ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તારીખ 18 એપ્રિલે સાંજે PM મોદી અમદાવાદ પહોંચશે. ત્યાર બાદ રાજ્યમાં બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમમાં જોડાશે અને સભાઓ પણ સંબોધશે. દિયોદરમાં વડાપ્રધાન બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યાં મહિલા પશુપાલકોને સંબોધશે તો જામનગરમાં WHOના મદદથી બની રહેલા આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. ત્યાર બાદ ગાંધીનગરમાં આયુષ મંત્રાલયની 2 દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. તો બીજી તરફ દાહોદમાં આદિવાસી સંમેલનમાં પણ સંબોધન કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને જનતાને આકર્ષવા માટે ભાજપે મહાઅભિયાન શરુ કર્યુ છે.
PM મોદી 18 એપ્રિલથી 20 એપ્રિલ ગુજરાતમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા ફરી વાર ગુજરાત આવી રહ્યાં છે. ત્યારે તેમનો શિડ્યુલ જણાવીએ તો વડાપ્રધાન મોદી તારીખ 18મી એપ્રિલે સાંજે અમદાવાદ આવી પહોંચશે. ત્યાર બાદ તેઓ સાંજે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મહત્વના કમાન્ડ સેન્ટરની પણ મુલાકાત લેશે. તારીખ 18 એપ્રિલે પીએમ મોદી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.
જાણો શું છે 19 એપ્રિલનો કાર્યક્રમ?
19 એપ્રિલે પીએમ મોદી સવારે બનાસકાંઠા જશે જ્યાં દિયોદરમાં પીએમ મોદી બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ મહિલા પશુપાલકોના સંમેલનમાં પણ પીએમ મોદી સંબોધન કરશે. બનાસકાંઠા બાદ પીએમ મોદી જામનગર જશે. જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન પણ પીએમ મોદી કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને આયુષ મંત્રી પણ હાજર રહેશે.
20 એપ્રિલનો કાર્યક્રમ ગાંધીનગરમાં
ત્રીજા દિવસે એટલે કે 20 એપ્રિલે PM મોદી મહાત્મા મંદિરમાં હાજરી આપશે. અહીંયા તેઓ આયુષ મંત્રાલયની બે દિવસીય કોન્ફરન્સનું આયોજન પણ કરશે. આ કાર્યક્રમ બાદ પીએમ મોદી દાહોદ જવાના છે. દાહોદમાં પીએમ મોદી આદિવાસી સંમેલનમાં સંબોધન કરશે. પીએમ મોદી દાહોદથી અમદાવાદ પરત ફરી રાત્રે દિલ્હી પરત ફરશે.
15 એપ્રિલે મનસુખ માંડવિયા, સિંધિયા આવશે ગુજરાત
તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા 15એપ્રિલે કચ્છ આવશે. તેઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરશે. તેમજ ઔષધિ પર આધારિત દવાઓનું રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરશે. મહત્વનું છે કે આ રિસર્ચ સેન્ટર કેન્દ્ર સરકાર અને WHOના સહયોગથી સંચાલિત હશે. વિશ્વનું એક માત્ર ઔષધિ આધારિત દવા પરનું રિસર્ચ સેન્ટર હશે. આ કાર્યક્રમમાં WHOના DG અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજરી આપશે. તેમજ આયુષમંત્રી અને મંત્રાલયની સમગ્ર ટીમ પણ હાજર રહેશે. આ ઉપરાંત 16 એપ્રિલે કેન્દ્રીય મંત્રી નાગરિક અને ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ગુજરાત પ્રવાસે છે.