આવતીકાલે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી ૨૦૨૨-૨૦૨૭’ જાહેર કરશે.વધુમાં સાયન્સ સિટી ખાતે સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્ક્લેવમાં પણ જોડાશે.
ગુજરાત ‘પોલિસી ડ્રિવન સ્ટેટ’ તરીકે દેશભરમાં મોડલ સ્ટેટ સાબિત થયું છે. છેલ્લા ૨૦ વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન પુરું પાડવા માટે વિવિધ પોલિસીઓ જાહેર કરવામાં આવી છે. આ દિશામાં વિકાસયાત્રા આગળ ધપાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતેથી ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી-૨૦૨૨-૨૦૨૭’ જાહેર કરશે. આ પ્રસંગે પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી અને પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી પણ ઉપસ્થિત રહેશે. જેમાં અભિનેતા અજય દેવગણ પણ જોડાશે.
રાજ્યમાં ફિલ્મ શુટિંગ માટેની ઇકો સિસ્ટમ મજબૂત કરવા પ્રયાસ
તાજેતરમાં, રાજ્યના પ્રવાસન વિભાગે ફિલ્મ ઉદ્યોગ જગતમાં ગુજરાતને પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે તેમજ સ્થાનિક ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે નવી ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી ૨૦૨૨-૨૦૨૭’ ઘડી છે. આ માટે ફિલ્મ અને પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ મુખ્ય હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી આ પોલિસીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. આ પોલિસીનો હેતુ ફિલ્મ શૂટિંગ માટે ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે, જે રાજ્યમાં ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન-સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂકે છે.
રાજ્યમાં ફિલ્મ મેકિંગ, પ્રોડક્શનને મળશે પ્રોત્સાહન
રાજ્યની સૌપ્રથમ ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી ૨૦૨૨-૨૦૨૭’એ ફિલ્મો દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને ગુજરાતના પ્રવાસન સ્થળોને એક્સપ્લોર કરવા માટે ફિલ્મ નિર્માતાઓને આકર્ષવા તરફ રાજ્ય દ્વારા લેવાયેલું એક મુખ્ય પગલું છે. ગુજરાત હંમેશા ફિલ્મના શૂટિંગ માટે ફિલ્મ મેકર્સની પ્રાયોરિટી લિસ્ટમાં રહ્યું છે. પ્રવાસન સ્થળોનું વૈવિધ્ય, ઉચ્ચ સ્તરનીઆવાસીય અને અન્ય સુવિધાઓ, સુવિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બહેતર કનેક્ટિવિટી અને ટ્રાન્સપોર્ટેશન સાથે સરકારનો સહયોગ એગુજરાતને શૂટિંગ હબ તરીકે પસંદ કરવા માટેના મુખ્ય કારણો છે. હેરિટેજ પ્રોપર્ટીના વિકાસ અને પ્રવાસનના વિકાસમાં રોકાણોને પ્રોત્સાહન આપવા હેરિટેજ પ્રવાસન નીતિ ૨૦૨૦-૨૫ અને નવી પ્રવાસન નીતિ ૨૦૨૧-૨૫ની જાહેરાત કરી છે.
સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્ક્લેવ
સાયન્સ સિટી, અમદાવાદ ખાતે બે દિવસીય "સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્ક્લેવ"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તા.૧૦મી સપ્ટેમ્બરે સવારે ૧૦.૩૦ કલાકે વર્ચ્યુઅલી આ બે દિવસીય કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના મંત્રી જીતુભાઇ વાઘાણીએ આ કોન્ક્લેવની માહિતી આપતા જણાવ્યુ છે કે, ભારત સરકાર અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આગામી તા.૧૦ અને ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે બે દિવસીય કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યુ છે. STI વિઝન ૨૦૪૭ સાથે પ્રથમ વખત યોજાઇ રહેલી આ કોન્ક્લેવ અંતર્ગત "અનુસંધાન સે સમાધાન"ની ટેગ લાઇન સાથે વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સંબંધિત નવી ટેક્નોલોજી અને "જીવનની સરળતા"પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાંતા.૧૧ સપ્ટેમ્બરે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આ કોન્ક્લેવના સમાપન સમારોહમાં હાજરી આપશે.