તાજેતરમાં જ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ ચૂંટણી પહેલા વધુ એક વખત વડાપ્રધાન મોદી ગુજરાતના આંગણે આવી રહ્યાં છે. પીએમ મોદી આગામી 9થી 11 ઓક્ટોબર 2022 દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે 9 ઓક્ટોબરના રોજ પીએમ મોદી મોઢેરાના સૂર્યમંદિરમાં લાઈટ-સાઉન્ડ શૉ શરૂ કરાવશે.
મોઢેરામાં યોજાશે લાઈટ એન્ડ સાઉન્ડ શૉ
સૂર્યમંદિરનું મહત્વ સમજાવતો શૉ યોજાશે
9 ઓક્ટોબરે પ્રધાનમંત્રી શૉને ખુલ્લો મુકશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા વધી ગયા છે. રાજ્યમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સહિતના દિગ્ગજો ગુજરાતમાં અવરજવર કરી રહ્યાં છે. ત્યારે વધુ એક વખત PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આગામી તારીખ 9, 10 અને 11 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત આવશે. મહત્વનું છે કે, તેઓ ચૂંટણી પૂર્વે ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં એકવાર ફરી PM મોદી અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
9 ઓક્ટોબરે પ્રધાનમંત્રી લાઈટ એન્ડ સાઉન્ડ શૉને ખુલ્લો મુકશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 9મી ઓક્ટોબરના રોજ મોઢેરા સૂર્યમંદિર ખાતે મોઢેરાની ઐતિહાસિક વિરાસતની ઝાંખી કરાવતો લેસર લાઈટ અને સાઉન્ડ શૉ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. જેને અહીં આવતા પ્રવાસીઓ રાત્રિ દરમિયાન નિહાળી શકશે. આ ઉપરાંત પીએમ મોદી મોઢેરા ખાતે સોલાર પાવર પ્લાન્ટ સહિતના કરોડોના વિકાસના કામોનું લોકાર્પણ કરશે.
ભારત અને વિશ્વમાં સ્થાપિત સૂર્યમંદિરોની અપાશે માહિતી
આ લાઈટ એન્ડ સાઉન્ડ શૉમાં સૂર્યમંદિરનું મહત્વ અને તેનો ઈતિહાસ જણાવવામાં આવશે. સાથે આ લાઈટ એન્ડ સાઉન્ડ શૉમાં સૂર્યમંદિરનું મહત્વ, વિશ્વ અને ભારતમાં સ્થપાયેલા સૂર્યમંદિરોની માહિતી, આદિત્ય અને પ્રકૃતિનો સંબંધની પ્રતિકૃતિ શૉમાં જોવા મળશે. મોઢેરા સૂર્યમંદિરે આવતા પ્રવાસીઓ આ લાઈટ એન્ડ સાઉન્ડ શૉને 7થી 8ના સમયગાળા દરમિયાન નિહાળી શકશે. આપને જણાવી દઈએ કે, આ લાઈટ એન્ડ સાઉન્ડ શૉ 18થી 20 મિનિટનો હશે.
મોઢેરાનું વિશ્વપ્રસિદ્ધ સૂર્ય મંદિરની બનાવટ અને તેનું નકશી કામ અદભૂત
અમદાવાદથી લગભગ 100 કિલોમીટર અને જિલ્લાના વડુમથક મહેસાણાથી લગભગ 25 કિલોમીટરના અંતરે આવેલા વિશ્વપ્રસિદ્ધ મોઢેરા આવેલું છે. અહીં પહોંચતા જ એક નવો અહેસાસ થશે. કારણ કે અહીં જાણે કોઈ પર્વતિયાળ ગામમાં આવ્યા હોય... મોઢેરા મેદાની પ્રદેશમાં આવેલા છે. આ પર્વતિયાળ પ્રદેશ નથી. પરંતુ મોઢેરામાં રહેલા મકાનોને જોઈએ તો એવું લાગે કે તે કોઈ ટેકરા પર કે પર્વત પર બનેલા હોય. પુષ્પાવતી નદીના કિનારે આવેલા આ સૂર્યમંદિરની બનાવટ અને તેનું નક્સી અદભૂત, અવિસ્મરણીય છે. એટલું અદભૂત છે કે તેને શબ્દોમાં ન વર્ણવી શકાય. સાચી મજા તો ત્યાં પહોંચીને જ લઈ શકાય.
સૂર્યમંદિરનું નિર્માણ રાજ વંશ સોલંકી કુળે કર્યું
સૂર્યમંદિરનું નિર્માણ કરાવનારો રાજ વંશ સોલંકી કુળનો હતો. સોલંકી વંશને સૂર્યવંશી પણ કહેવાતો હતો. તેઓ સૂર્યને કુળદેવતાના રૂપમાં પૂજતા હતા તેથી તેમણે પોતાના આદ્ય દેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને આ પ્રકાર મોઢેરાના સૂર્યમંદિરે આકાર લીધો. ભારતમાં ઓડિસાના કોર્ણાક અને બીજુ ગુજરાતના મોઢેરામાં આવેલું છે.
મોઢેરા સૂર્યમંદિરનું વાસ્તુશિલ્પ
શિલ્પકલાન અદ્દભૂત ઉદાહરણ રજૂ કરનારુ આ વિશ્વપ્રસિધ્ધ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને સોલંકી ભીમદેવે બે ભાગમાં નિર્મિત કરાવ્યું હતું. પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજુ સભામંડપનો છે. મંદિરના ગર્ભગૃહના અંદરની લંબાઈ 51 ફૂટ, 9 ઈંચ અને પહોળાઈ 25 ફૂટ 8 ઈંચની છે.
મંદિરના સ્તંભો પર વિવિધ રામાયણ-મહાભારતના પ્રસંગોની કોતરણી
મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરીને તૈયાર કરાયા છે. આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એ ગોળ દેખાય છે. તો સૂર્યમંદિરની મુલાકાતે ન માત્ર દેશ પરંતુ વિદેશ પણ અનેક લોકો આવે છે.
સૂર્યનું પ્રથમ કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે
આ મંદિરની એક ખાસિયત છે કે સૂર્યનું પહેલુ કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે. તેના કારણે મંદિર ઝળહળી ઉઠે છે. તો આ જ મંદિરની આગળના ભાગમાં એક વિશાળ કુંડ આવેલો છે. જેને સૂર્ય કુંડ કે રામ કુંડ કહેવામાં આવે છે. તો અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકશાન પહોંચાડ્યુ હતું અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી હતી. હાલ ભારતીય પુરાતત્વ વિભાગે આ મંદિરને પોતાના સંરક્ષણમાં લઈ લીધું છે.