લોકસભા ચૂંટણી માટે દરેક પક્ષોએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. સાથે ભાજપ દ્વારા જનસભાઓનો દોર પણ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં 10 સભાઓ ગજવશે. ગુજરાતમાં 10 એપ્રિલથી PM મોદીનું પ્રચાર અભિયાન શરૂ થશે. જેમાં તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 3-3 સભાઓને સંબોધશે. મધ્ય ગુજરાતમાં બે સભા અને આદિવાસી વિસ્તારમાં એક સભા સંબોધશે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર અને અમરેલીમાં સભાઓ સંબોધી શકે છે. પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં સભાને સંબોધશે. સાથે PM મોદી આણંદમાં પણ સભા સંબોધશે. આદિવાસી વિસ્તાર દાહોદ અથવા છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં એક સભા સંબોધશે.
અમિત શાહ ગુજરાતમાં 6થી વધુ સભાઓ ગજવશે
પીએમ મોદી ગુજરાતમાં સભાઓ કરવાના છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ હવે ચૂંટણી સભાઓ ગજવશે. અમિત શાહ ગુજરાતમાં 6થી વધુ સભા ગજવશે. આગામી દિવસોમાં અમિત શાહ ગુજરાતમાં આવશે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના નેતાઓ પણ ગુજરાતમાં રેલીઓ સંબોધશે. ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ધામા નાખશે. પરપ્રાંતિય વોટ બેંક ભાજપ પક્ષમાં લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં 26માંથી 26 જીતવાનો ટાર્ગેટ
લોકસભા ચૂંટણીને ગણતરીના દીવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા વિજય સંકલ્પ સભાઓનો દોર શરૂ કરવામાં આવ્યો છે. બે દીવસ પહેલા યુ.પીના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. ત્યારે શહેરના મેમકો વિસ્તારમાં વિજય સંકલ્યસભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રાષ્ટ્રીય મહીલા અધ્યક્ષ વિજયા રાહતકર ઉપસ્થિત રહ્યા હતા. એટલે કે ઈલેક્શન પૂર્વે ગુજરાતમાં 26માંથી 26 લોકસભા સીટ જીતવાનો ટાર્ગેટ પૂરો કરવા માટે કેન્દ્રીય મંત્રીઓનો દોર ચાલુ કરી દેવામાં આવ્યો છે.