કાર્યક્રમોને 12 નવેમ્બર સુધીમાં આપી દેવામાં આવશે અંતિમ સ્વરૂપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. ભાજપે ગતરોજ 160 ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. તો કોંગ્રેસે પણ ગતરોજ 46 ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનનું પીએમ મોદી નેતૃત્વ કરવા જઈ રહ્યા છે.
ચૂંટણી પ્રચાર અભિયાનનું નેતૃત્વ કરશે PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર અભિયાનનું નેતૃત્વ કરશે. તેઓ લગભગ 25 રેલીઓ કરશે તેવી આશા છે, જેના દ્વારા સત્તાધારી પક્ષનું લક્ષ્ય 150 વિધાનસભા ક્ષેત્રોમાં મતદારો સુધી પહોંચવાનું છે.
PMના કાર્યક્રમોને 12 નવેમ્બર સુધીમાં અંતિમ સ્વરૂપ અપાશે
સૂત્રોએ મીડિયાને જણાવ્યું કે, આ રેલીઓની તારીખોને વડાપ્રધાન કાર્યાલયમાંથી પીએમ મોદીના કાર્યક્રમને મંજૂરી મળ્યા બાદ અંતિમ રૂપ આપવામાં આવશે. પીએમ મોદી સહિત સ્ટાર પ્રચારકોના નેતૃત્વમાં આ ચૂંટણી રેલીઓ આગામી સપ્તાહથી શરૂ થાય તેવી આશા છે. પીએમ મોદીના કાર્યક્રમોને 12 નવેમ્બર સુધીમાં અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવશે. પીએમ મોદી ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ભાજપના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતનો પ્રવાસ કરશે.
ભાજપે 35થી વધુ સ્ટાર કેમ્પેઇન ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. 10થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા 20થી વધુ સભાઓ કરશે. સાથે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અર્જુન મુંડા પણ સભા ગજાવશે.આ ઉપરાંત સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્રપ્રધાન, ભુપેન્દ્ર યાદવ, MPના CM શિવરાજસિંહ ચૌહાણ, UPના CM યોગી આદિત્યનાથ, પૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ ગુજરાતમાં પ્રચાર માટે આવશે.
બે તબક્કામાં યોજાશે ચૂંટણી
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરનારા રોજ જાહેર કરવામાં આવશે.