ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પીએમ મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓના ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. 28મેના રોજ તેઓ રાજકોટ આવશે. આટકોટમાં પટેલ સમાજ ટ્રસ્ટ સંચાલિત મલ્ટીસ્પેશિયાલીટીહોસ્પિટલનું લોકાર્પણ કરશે . હોસ્પિટલના લોકાર્પણ બાદ પીએમ મોદી જનમેદનીને સંબોધન પણ કરશે. આ માટે 1.50 લાખ લોકો બેસી શકે એ પ્રકારનો ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
ત્રણ જિલ્લાઓને મળશે આરોગ્યલક્ષી સુવિધા
રાજકોટમાં એઇમ્સની સૌરાષ્ટ્રને સૌથી મોટી ભેટ બાદ આટકોટમાં પટેલ સમાજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થશે. 200 બેડની આધુનિક હોસ્પિટલ તમામ સુવિધાઓથી સજ્જ છે. રાજકોટના પછાત અંતરિયાળ વિસ્તાર જસદણ, વીંછિયા ઉપરાંત સુરેન્દ્રનગર, ભાવનગર અને અમરેલી આ ત્રણ જિલ્લાને આ હોસ્પિટલને લીધે આરોગ્યની સેવાઓનો લાભ મળશે.
ઇમરજન્સીમાં સારવાર થઇ શકશે- ડૉ.ભરત બોઘરા, પ્રદેશ ઉપાધ્યક્ષ, ભાજપ
ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા સાથે વીટીવી ન્યૂઝે વાતચીત કરતા જણાવ્યું હતું કે હું ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હતો ત્યારથી મારા મનમાં રંજ હતો કે આ વિસ્તારના લોકો મેડિકલ સુવિધાને લઇને મુશ્કેલી અનુભવે છે.. અમરેલી, ભાવનગરનો ગ્રામ્ય વિસ્તાર, સુરેન્દ્રગર, સાયલા ચોટીલા અને રાજકોટ સહિતની જનતાને સારવાર લેવા માટે રાજકોટ સિવિલ સિવાય કોઇ વિકલ્પ ન હતો. પરંતુ હવે ઇમરજન્સીમાં આ હોસ્પિટલમાં સારી રીતે સારવાર થઇ શકશે.
પીએમ મોદીના આગમનને લઇને કેવી તૈયારીઓ ?
તો બિલ્ડર એસોશિએશનના પ્રમુખ પરેશ ગજેરા સાથે વીટીવી ન્યૂઝે વાતચીત કરતા તેઓએ તૈયારીઓને લઇને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદીના આ લોકાર્પણ કાર્યક્રમ બાદ 3 લાખથી વધારે માણસો આવે તે પ્રકારે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. 600 ફૂટ બાય 1200 ફૂટનો સભા મંડપ તૈયાર થઇ ચૂક્યો છે. જમણવાર માટે 4 લાખ ફૂટનો ડોમ પણ તૈયાર થઇ ચૂક્યો છે. 300થી વધારે કાઉન્ટ ભોજન માટે રાખવામાં આવશે. 500થી વધુ વીઘા જગ્યામાં પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે. પાર્કિંગમાં 1200થી વધારે સ્વયંસેવકોની ટીમ ખડેપગે છે. 3000 જેટલા સ્વયંસેવકો ભોજન વ્યવસ્થામાં જ્યારે 2000 જેટલા સ્વયંસેવકો સભા મંડપમાં ફરજ બજાવશે.
.