રાજકીય દિગ્ગજોના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા, 10 એપ્રિલે અમિત શાહ, 15 એપ્રિલે મનસુખ માંડવિયા, 19 અને 21 એપ્રિલના રોજ PM મોદીનો ગુજરાત પ્રવાસ
જૂનાગઢના ઉમાધામમાં મહાપાટોત્સવ
પ્રધાનમંત્રી મોદીની વર્ચ્યુઅલી હાજરી
મુખ્યમંત્રી અને પાટીલની હાજરી
ચૂંટણી પહેલા રાજકીય નેતાઓના ગુજરાત પ્રવાસમાં એકાએક વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રના નેતાઓ સતત અનેક કાર્યક્રમમાં હાજરી તેમજ ખાતમુર્હુત અને લોકાર્પણના આયોજનમાં સહભાગી થઈ રહ્યા છે. ત્યારે 19 અને 21 એપ્રિલના PM મોદીના ગુજરાત પહેલા અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાટીદાર કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપશે. મહત્વનું છે કે 10 એપ્રિલે જૂનાગઢના ઉમાધામ ગાઠિલાનો મહાપાટોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જેમાં પ્રધાનમંત્રી મોદી બપોરે 1 વાગ્યે વીડિયો કોન્ફરન્સથી જોડાશે. જૂનાગઢના ઉમાધામ ગાઠિલાના 14માં મહાપાટોત્સવના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ પણ હાજર રહેશે.
19 એપ્રિલે પીએમ મોદી આવશે ગુજરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની હજી કોઇ તારીખ જાહેર થઇ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તો જોરશોરથી ચૂંટણીનો ધમધમાટ શરુ કરી દીધો છે. રાજકીય દિગ્ગજોના ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યા છે. ત્યારે પીએમ મોદી ફરી એકવાર ગુજરાત આવશે. 19 એપ્રિલે પીએમ મોદી જામનગર આવશે જ્યારે 21 એપ્રિલે તેઓ બનાસકાંઠાના પ્રવાસે છે.
10 એપ્રિલે અમિતશાહ આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ 10 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ગાંધીનગર ખાતે નવનિર્મિત ગુજકોમાસોલ ભવનનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ ગુજકોમસોલ સાથે અમિત શાહ બેઠક યોજશે. આ વખતે બે દિવસ ગુજરાત પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ 10 અને 11 તારીખે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
15 એપ્રિલે મનસુખ માંડવિયા, સિંધિયા આવશે ગુજરાત
તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા 15એપ્રિલે કચ્છ આવશે. તેઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરશે. તેમજ ઔષધિ પર આધારિત દવાઓનું રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરશે. મહત્વનું છે કે આ રિસર્ચ સેન્ટર કેન્દ્ર સરકાર અને WHOના સહયોગથી સંચાલિત હશે. વિશ્વનું એક માત્ર ઔષધિ આધારિત દવા પરનું રિસર્ચ સેન્ટર હશે. આ કાર્યક્રમમાં WHOના DG અને સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજરી આપશે. તેમજ આયુષમંત્રી અને મંત્રાલયની સમગ્ર ટીમ પણ હાજર રહેશે. આ ઉપરાંત 16 એપ્રિલે કેન્દ્રીય મંત્રી નાગરિક અને ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ગુજરાત પ્રવાસે છે.
રાષ્ટ્રપતિના પણ આ મહિનામાં ગુજરાત પ્રવાસે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ફરી સૌરાષ્ટ્રમાં આગમન થશે. 10 એપ્રિલના દ્વારકાધીશ મંદિરે રાષ્ટ્રપતિ શિશ ઝુકાવશે તેમજ 13 એપ્રિલના રૂક્ષ્મણી વિવાહમાં અને માધવપુરના મેળામાં પણ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિના આ પ્રવાસને લઈ દ્વારકા અને માધવપુરમાં તંત્ર ખાસ તૈયારી કરવામાં જોતરાઈ ગયું છે.