અમદાવાદીઓ માટે જાહેર ટ્રાન્સપોર્ટેશનને લઈ સારા સમાચાર સામે આવ્યા છે. મેટ્રો રૂટના ફેઝ-1નું ઈન્સ્પેક્શન પૂર્ણ કરાયું છે. વડાપ્રધાન મોદી નવરાત્રીમાં મેટ્રો ટ્રેનની ભેટ આપશે.
વસ્ત્રાલ-થલતેજ, APMC-મોટેરા મેટ્રો રેલ રૂટ તૈયાર
મેટ્રો રૂટના ફેઝ-1નું ઈન્સ્પેક્શન પૂર્ણ
PM મોદી નવરાત્રીમાં મેટ્રો ટ્રેનની આપશે ભેટ
અમદાવાદ મેટ્રોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, શહેરીજનો પણ મેટ્રો શરુ થાય તો ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે અમદાવાદીઓ માટે મેટ્રોને લઈને એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. મેટ્રો રૂટના ફેઝ-1નું ઈન્સ્પેક્શન પૂર્ણ કરાયું છે. CMRSના અધિકારીઓ દ્વારા ઉત્તર-દક્ષિણ મેટ્રો કોરિડોરનું અંતિમ ઈન્સ્પેક્શન પૂર્ણ કરાયું છે. અમદાવાદને નવરાત્રી પર મેટ્રો ટ્રેનની ભેટ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપશે.
પ્રથમ દિવસે હશે માત્ર 5 રૂપિયા ભાડું
એક રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં નવરાત્રીમાં મેટ્રો ટ્રેન શરૂ થઈ જશે. ફેઝ-1માં 2 કોરિડોર હશે. જેમાં APMCથી મોટરા સુધી અને વસ્ત્રાલથી થલતેજ સુધી મેટ્રો ટ્રેનમાં સફર કરી શકાશે. અવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મેટ્રો ટ્રેન શરૂ થયાના પ્રથમ દિવસે ટિકિટ માત્ર 5 રૂપિયા હશે. જ્યારે અન્ય દિવસોમાં મેટ્રો ટ્રેનમાં APMCથી વસ્ત્રાલ સુધીની ટિકિટ 25 રૂપિયા હશે. આ ઉપરાંત થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીનું ભાડું પણ 25 રૂપિયા જ હશે.
CMRS દ્વારા કરાયું અંતિમ પરીક્ષણ
અમદાવાદમાં મેટ્રો ટ્રેનને દોડતી કરવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, ઉત્તર અને દક્ષિણ અમદાવાદને જોડતા રૂટનું ચીફ મેટ્રો રેલ સેફ્ટી દ્વારા અંતિમ પરીક્ષણ કરવામાં આવ્યું છે. CMRS દ્વારા જે પરીક્ષણ કરવામાં આવ્યું છે તે પછી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા તેનું પાલન કરીને આગામી અઠવાડિયે ફાઈનલ રિપોર્ટ જમા કરાવવામાં આવશે.
ઈ-રિક્ષા ચલાવવા પ્લાનિંગ
આ ઉપરાંત મેટ્રો રેલ કોર્પોરેશન કનેક્ટિવિટી માટે ઈ-રિક્ષા ચલાવવા પ્લાનિંગ કરી રહ્યું છે. મેટ્રો સ્ટેશનથી મુસાફરો મહત્વના સ્થળો પર ઝડપથી પહોંચી શકે તે અંગેની પણ વ્યવસ્થાઓ અંગે વિચારણા મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. ST સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન સાથે મેટ્રો સ્ટેશનને સીધા જોડવા માટે ઈ-રિક્ષા દોડતી કરાશે.