પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે આવશે ગુજરાત
વાવાઝોડા બાદની સ્થિતિનું કરશે હવાઈ નિરીક્ષણ
ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું કરશે નિરીક્ષણ
હવાઈ નિરિક્ષણ બાદ અધિકારીઓ સાથે કરશે બેઠક
પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સવારે 11.30 કલાકની આસપાસ નવી દિલ્હીથી ભાવનગર આવશે.
પ્રધાનમંત્રી હેલિકોપ્ટર દ્વારા ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં તૌકતે સર્જેલી ખાનાખરાબીનું હવાઈ સર્વેક્ષણ કરશે. હવાઈ સર્વેક્ષણ બાદ પ્રધાનમંત્રી અધિકારીઓ સાથે બેઠક પણ કરવાના હોવાનું જણાવાઈ રહ્યું છે.
દિવસભર તૌકતે વાવાઝોડાની તબાહી બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં અનેક જગ્યાએ વીજ પૂરવઠો ખોરવાયો છે. 5951 ગામમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. તેમાથી 2101 ગામમાં ફરી વીજળી આવી ચૂકી છે. 3850 ગામમાં વીજ પૂરવઠાની કામગીરી ચાલુ છે. 220kvના 5 સબસ્ટેશન અસરગ્રસ્ત થયા હતા. જેમાંથી 1 સબસ્ટેશન શરૂ થઈ ગયા છે. જ્યારે 4માં કામગીરી ચાલુ છે. 66kvના 165 સબસ્ટેશન અસરગ્રસ્ત થયેલા હતા. જેમાંથી 68 ફરી શરૂ થઈ ગયા છે. આશરે 950 જેટલી ટૂકડીઓ વીજ પૂરવઠાની કામગીરીમાં કાર્યરત છે.
હજારોની સંખ્યામાં થાંભલાઓ તૂટી ગયા
69,429 વીજ થાંભલા તૂટી ગયા છે. સરકાર પાસે 81 હજારથી વધુ થાંભલાઓ તૈયાર છે. સૌરાષ્ટ્રમાં 425 કોવિડ હોસ્પિટલ પૈકી 122 હોસ્પિટલ અસરગ્રસ્ત વિસ્તારમાં હોવાથી તેમાં વીજ પુરવઠાની અસર પહોંચી હતી. જેમાંથી 83 કોવિડ હોસ્પિટલમાં વીજ પૂરવઠો ચાલુ થઈ ગયો છે. 39 હોસ્પિટલમાં વીજ પૂરવઠો ફરી શરૂ કરવાની કામગીરી શરૂ છે. 674 રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જેમાં 562 રસ્તાઓ ચાલુ થયા અને 112 રસ્તાઓ ફરી કાર્યરત કરવાની કામગીરી ચાલુ છે.