દેશમાં સતત કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. હવે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ત્રણ લાખને પાર થઇ ચૂકી છે. દરરોજ કોરોના વાયરસના નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે અનલૉક-1 થયા બાદ પહેલી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે.
PM મોદી ફરી એકવાર તમામ રાજ્યોના CM સાથે કરશે સંવાદ
PM મોદી 16-17 જૂને કરી શકે છે સંવાદ
અનલૉક-1 થયા બાદ પહેલી વખત CM સાથે કરશે સંવાદ
દેશમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને લઇને પ્રધાનમંત્રી મોદી બે દિવસ સતત અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. પ્રધાનમંત્રીની બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાશે, જે 16 જૂન અને 17 જૂન હશે. બે દિવસ પીએમ મોદીની રાજ્યો સાથે વીડિયો કોન્ફરન્સિંગ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે.
16 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફસિંગ કરશે જ્યાં કોરોનાની ગતિ ધીમી છે અથવા જ્યાં કોરોનાનો રિકવરી રેટ ઘણો સારો છે. આ રાજ્યમાં પંજાબ, અસમ, કેરળ, ઉત્તરાખંડ અને ઝારખંડ જેવા કેટલાક રાજ્ય સામેલ છે.
ત્યારે 17 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે, જે રાજ્યોમાં કોરોના વાયરસના સંક્રમણની ગતિ ઘણી વધુ છે. 17 જૂને પીએમ મોદી મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને રાજસ્થાન સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે.
આ પહેલા પણ પીએમ મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કેટલીક વખત વીડિયો કોન્ફ્રન્સિંગ કરી ચૂક્યા છે. પહેલા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચર્ચા બાદ કેટલીક વખત લૉકડાઉન વધારવા, કેટલીક આર્થિક ગતિવિધિઓને ખોલવા જેવા નિર્ણય કરાઇ ચૂક્યા છે.