વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણની કલમ-૩૭૦ અંગેના સરકારના નિર્ણયને જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે માઇલસ્ટોન સમાન ગણાવ્યો છે. વડા પ્રધાન મોદીએ એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરને લઇને કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે.
છેલ્લા કેટલાય સમયથી કલમ-૩૭૦ હટાવવાની માગણી થઇ રહી હતી, પરંતુ આ મુદ્દે કોઇ નિર્ણય લેવામાં આવતો નહોતો. તેમણે જણાવ્યું હતું કે અમારી સરકારે ખૂબ જ સમજી વિચારીને કલમ-૩૭૦ હટાવવાનો નિર્ણય લીધો છે.
આ મુલાકાતમાં વડા પ્રધાને કાશ્મીર મુદ્દાની ચર્ચા કરતાં જણાવ્યું હતું કે કાશ્મીરને લઇને અમારી સરકારે જેે નિર્ણય કર્યો છે તે સંપૂર્ણપણે આંતરિક બાબત છે. અમને ખાતરી છે કે તેનાથી કાશ્મીર ખીણના લોકોને ઘણો ફાયદો થશે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે સરકાર કાશ્મીરને લઇને એક મોટો પ્લાન તૈયાર કરી રહી છે જેથી કાશ્મીરમાં વિકાસને આગળ વધારી શકાય.
તેમણે જણાવ્યું હતું કે કાશ્મીર હવે દેશના અન્ય રાજ્યોની જેમ વિકાસનો વેગ પકડશે. જમ્મુ-કાશ્મીરમાં રોકાણ અને રોજગાર માટે નવી તકો મળશે અને સ્થાનિક લોકોની પ્રગતિ થશે. વડા પ્રધાને રાષ્ટ્રજોગ પોતાના ઉદ્બોધનમાં પણ અગાઉ કાશ્મીરમાં મૂડીરોકાણની વાત કરી હતી અને નયા કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો.
આ અંગે આગળ વાત કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મારી અપીલ બાદ દેશના કેટલાય મોટા ઉદ્યોગપતિઓએ જમ્મુ-કાશ્મીરમાં રોકાણ કરવાની ઇચ્છવા વ્યકત કરી છે. આથી જમ્મુ-કાશ્મીરમાં મૂૂડીરોકાણ માટે સાનુકૂળ માહોલ ઊભો કરવાને પ્રાધાન્ય આપવામાં આવશે.
રોકાણ માટે સ્થિરતા, માર્કેટ સુધી પહોંચ અને કાયદાની નિશ્ચિત વ્યવસ્થા એવી પરિસ્થિતિ જરૂરી છે. કલમ-૩૭૦નો નિર્ણય આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ સુનિશ્ચિત કરશે. જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસન, ખેતી, આઇટી અને હેલ્થકેર સેકટરના વિકાસ માટે મૂડીરોકાણની વિપુલ તકો છે.
આ નિર્ણય બાદ એક ઇકો સિસ્ટમનું નિર્માણ થશે તેનાથી રાજ્યમાં સ્કીલ, મહેનત અને પ્રોડકટ માટે સારા પરિણામો આવશે. રાજયના યુવાનો માટે શૈક્ષણિક તકો સુનિશ્ચિત કરવા પર ભાર મૂકતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં એક શ્રેષ્ઠ વર્કફોર્સ પણ તૈયાર કરવામાં આવશે.