લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે અનેક લોકસભા બેઠક પર સેન્સની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરમાં ભાજપ દ્વારા સેન્સ લેવાશે. જેમાં મુખ્યત્વે સુરત, મહેસાણા, બનાસકાંઠા, વડોદરા લોકસભા બેઠક પર ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી લડી શકે છે. વડોદરા લોકસભા બેઠકના નિરીક્ષક પંકજ દેસાઇએ નિવેદન આપતાં કહ્યું છે કે, જે રીતે ગત ટર્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રજાએ જંગી મત આપ્યા હતા અને ખૂબ પ્રેમ આપ્યો હતો તેને જોતા પીએમ નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી લડી શકે છે.
હાલમાં વડોદરાની લોકસભા બેઠક માટે ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં વડોદરા ભાજપ કાર્યાલય ખાતે જયનારાયણ વ્યાસ, પંકજ દેસાઇ અને રમીલાબેન વાઘેલા ટીકીટવાંચ્છુ દાવેદારો અને કાર્યકરોને સાંભળશે.
આ સેન્સમાં વડોદરાની બેઠકને લઇને એક ડઝનથી પણ વધુ દાવેદારો નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી રજૂ કરશે. જેમાં વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ પોતાની દાવેદારી કરશે. જો કે નિરીક્ષકોની ટીમ હાલ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કર્યા બાદ વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર નક્કી કરશે.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીને લઇને રાજ્યભરમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં મુખ્યત્વે અમદાવાદ, વડોદરા, મહેસાણા, સુરત, બનાસકાંઠામાં નિરીક્ષકોની ટીમ દ્વારા કાર્યકર્તાઓ સાથે બેઠકના ઉમેદવારને લઇને ચર્ચા હાથ ધરાશે.