પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજરોજ કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં કૃષિ, નાણા મંત્રાલય સાથે જોડાયેલા પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે દેશના કેટલાંક ભાગમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થઇ છે જેને લઇને કેબિનેટ બેઠકમાં ચર્ચા થાય તેવી શક્યતા છે.
આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળશે
અનલોક 6 મુદ્દે બેઠકમાં કરવામાં આવશે ચર્ચા
તહેવારો અને કોરોનાની સ્થિતિ મુદ્દે ચર્ચા કરાશે
બુધવારે PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સથી કેન્દ્રીય કેબિનેટ બેઠક મળશે. આ કેબિનેટ બેઠકમાં અનલોક-6 મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ સાથે દેશભરમાં હાલ તહેવારોનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાની સ્થિતિ મુદ્દે પણ ચર્ચા હાથ ધરાશે.
જ્યારે બીજી તરફ કૃષિ બિલના વિરોધમાં કેટલાક રાજ્યોમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવી રહ્યાં છે તેને લઇને પણ બેઠકની અંદર સમીક્ષા કરાશે. જો કે કોરોનાકાળમાં રાહત પેકેજ તેમજ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારા અંગે જાહેરાત કરવામાં આવી શકે છે.
પ્રધાનમંત્રી નિવાસ સ્થાનેથી આ બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે. આ બેઠકમાં મહત્વપૂર્ણ પ્રસ્તાવો પર ચર્ચા કરી કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી આપવામાં આવશે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ બેઠકમાં કૃષિ તેમજ કિસાન કલ્યાણ મંત્રાલય, નાણા મંત્રાલય સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી શકે છે.