રાજ્ય (Gujarat) માં ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારને લઇને જોરદાર માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યમાં હવે પાટીદારોને રિઝવવા ખુદ PM મોદી મેદાનમાં ઉતર્યા છે.
PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે
સુરત એરપોર્ટથી જનસભા સ્થળ સુધી PMનો રોડ શો
12 વિધાનસભા વિસ્તારમાં PM મોદી કરશે રોડ-શો
PM મોદી આજથી બે દિવસ સુધી ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચારમાં જોડાશે તેમજ મતદારોના મત જીતવાનો પ્રયાસ કરશે. PM મોદી ભરૂચના નેત્રંગમાં બપોરના 1 વાગ્યે વિજય વિશ્વાસ સંમેલનમાં સંબોધન કરશે. જ્યારે બપોરના 3:30 વાગ્યે ખેડામાં અને સાંજે 6:30 વાગ્યે સુરતમાં જંગી જાહેર સભાને સંબોધી પ્રચાર કરશે. તેમજ વરાછામાં જનસભા પહેલા PM મોદી સુરત એરપોર્ટથી જનસભા સ્થળ સુધી મેગા રોડ શો પણ કરશે. 27 કિમીના રોડ-શોમાં PM મોદી લોકોનું અભિવાદન પણ ઝીલશે. PM મોદી સુરતની તમામ 12 વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો કરશે. રોડ-શો કર્યા બાદ PM મોદી જનસભાને પણ સંબોધન કરશે.
સીધો સંવાદ કરી જનતાને રિઝવવાનો પ્રયાસ કરશે
અત્રે નોંધનીય છે કે, વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે માત્ર ગણતરીનો જ સમય બાકી રહ્યો છે. ત્યારે PM મોદી આ બે દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની તમામ બેઠકો પર પ્રચારમાં જોડાશે. તેમજ જનતા સાથે સીધો સંવાદ કરીને તેમને રિઝવવાનો પ્રયાસ હાથ ધરશે.
વાહનોની અવર જવર અને પાર્કિંગ પર પ્રતિબંધ લગાવી દેવાયો
તમને જણાવી દઇએ કે, આજે PM મોદી સુરતની મુલાકાતે આવી રહ્યાં છે. PM એરપોર્ટ ખાતે ઉતાર્યા બાદ મોટા વરાછાના ગોપીન ફાર્મ સુધી 32 કિલોમીટર બાયરોડ જશે. જ્યાં ગોપીન ફાર્મ ખાતે જંગી જનસભા ગજવશે. બીજી તરફ વડાપ્રધાનના આગમનને લઇને સભા અને રૂટ પર અડચણ ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વાહનોની અવર જવર અને પાર્કિંગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
સુરક્ષાને ધ્યાને લઇને લોખંડી બંદોબસ્ત ગોઠવાયો
વડાપ્રધાનની મુલાકાતને પગલે વાહનચાલકોને અન્ય રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. બીજી બાજુ PMની સુરક્ષાને ધ્યાને લઇને લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં DCP-14, ACP-22 PI-70, PSI-130 સહીત 1500 પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે. ઉપરાંત હોમગાર્ડ-1000, TRB-500 અને SRPની 4 કંપનીઓના જવાનો પણ સૂરક્ષામાં તેનાત રહેશે.
અમિત શાહે ગઈકાલે 4 જિલ્લાઓમાં 5 જનસભા સંબોધી હતી
ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે 4 જિલ્લામાં 5 જનસભા સંબોધી હતી. જેમાં અમરેલી, ભાવનગર, વડોદરા, અમદાવાદ અને અમરેલી જિલ્લામાં સભાઓ ગજવી હતી. તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, પરસોત્તમ રૂપાલા પ્રચાર કરી રહ્યાં છે. તેઓ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જાહેર સભાને સંબોધશે.