- પૂલ તૂટવાની દુર્ઘટનાના કારણે અનેક કાર્યક્રમો રદ્દ
- CMO દ્વારા ટ્વિટ કરીને આપવામાં આવી જાણકારી
PM મોદી જશે મોરબી
ગુજરાત આજે શોકમગ્ન છે, ફરી મચ્છુમાં અનેક જિંદગીઓ હોમાઈ છે, આખે આખા પરિવાર ડૂબી જવાથી અનેક ગામોમાં ડૂસકાં સંભળાઈ રહ્યા છે ત્યારે પીએમ મોદી પણ ગુજરાત પ્રવાસે છે. એવામાં આવતીકાલે પ્રધાનમંત્રી પોતે મોરબી પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરશે તથા પીડિતો સાથે મુલાકાત કરશે.
પ્રધાનમંત્રીશ્રી આવતીકાલે ૧ તારીખે બપોર પછી મોરબીની મુલાકાત લેશે.
PM મોદી થયા ભાવુક
સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હું એકતા નગરમાં છું પણ મારુ મન મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે આટલું કહેતા જ PM મોદીનો અવાજ રૂંધાયો હતો અને તેમણે કહ્યું કે આવી પીડા મેં મારા જીવનમાં ખૂબ ઓછી અનુભવી છે. એક તરફ દર્દથી ભરાયેલ હૃદય છે અને બીજી તરફ કર્મ અને કર્તવ્યનું પથ છે, હું તમારી વચ્ચે છું પણ કરુણાથી ભરાયેલું મન પીડિત પરિવારો સાથે છે. પીએમ મોદીએ કહ્યું હું ભલે આજે અહિયાં તમારી વચ્ચે છું પણ મારુ મન કરુણાથી ભરાયેલું છે અને મોરબીના પીડિતોની સાથે છે. ગઇકાલથી જ મુખ્યમંત્રી મોરબીથી સતત કામ કરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર તરફથી પણ બને તેટલી મદદ કરવામાં આવી રહી છે.
આ ઘટનાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર પેજ સમિતિ સ્નેહમિલન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. 1 નવેમ્બર 2022 ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પેજ સમિતિ સભ્યોનો "પેજસમિતિ સ્નેહમિલન કાર્યક્રમ" નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હાલ મોકૂફ રાખવામાં આવેલ છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા જણાવાયું છે. આ સિવાય અમદાવાદમાં મોદીનો રોડ સો સહીત અનેક કાર્યક્રર્મો રદ કરાયા છે.
કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા મોકૂફ
વધુમાં મોરબીમાં પુલ તૂટવાની કરુણ ઘટનાને લઇને કોંગ્રેસ પક્ષ દ્વારા આજે તા. ૩૧.૧૦.૨૨ ના રોજની ગુજરાતનાં પાંચ ઝોનમાં શરૂ થનાર 'પરિવર્તન સંકલ્પ યાત્રાને એક દિવસ મોકૂફ રાખવામાં આવી છે. રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતજી, પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહજી, વરિષ્ઠ નેતા બી કે હરિપ્રસાદજી, રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાજી, રાજસ્થાનનાં પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી ડો.રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ,પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા, ઋત્વિક મકવાણા મોરબી જઈ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓનો મુલાકાત લઈ ખબર અંતર પૂછશે અને જેમને આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે તેમાં પરિવારજનોને મળીને સાંત્વના પાઠવશે.
અત્યાર સુધીના તમામ અપડેટ:
- મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતાં દુર્ઘટના: અત્યાર સુધીમાં 141 લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ
- ઘટનાની જાણ થયા બાદ PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી વાતચીત
- CM ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી પહોંચ્યા, આખી રાત રેસ્ક્યૂ કામોને લઈ કર્યા પ્રયાસ
- આખી રાત સેનાની ટુકડીઑ, NDRF-SDRF ની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન
- મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે 2 લાખ અને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત
- તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: 02822 243300
- મુખ્યમંત્રીએ 5 સભ્યોની હાઈપાવર કમિટીનું કર્યું ગઠન, રાત્રે 2 વાગ્યાથી જ તપાસનો ધમધમાટ શરૂ
- દુર્ઘટનાને ધ્યાને રાખી PM મોદીએ રોડ શો તથા સ્નેહમિલનના કાર્યક્રમ કર્યા રદ્દ, ગુજરાતભરમાં અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા
- જવાબદારો સામે કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો
- નવ જેટલા લોકોની પોલીસે કરી અટકાયત, અનેક લોકોની ચાલી રહી છે પૂછપરછ