PM મોદી આજે મુંબઈના પ્રવાસે છે. ઉલ્લેખનીય છે કે ગણપતિની પૂજા કર્યા બાદ તેઓ 3 મેટ્રો લાઈનનું ઉદ્ધાટન કર્યું. સાથે જ મેક ઈન્ડિયા હેઠળ બનેલા પ્રથમ મેટ્રો કોચનું પણ ઉદ્ધાટન કર્યું.
પીએમ મોદીએ કહ્યું કે દેશ 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. સરકાર આવનારા 5 વર્ષમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવા જઈ રહી છે. આ 100 દિવસોમાં એવા કામ થયા છે જે અભૂતપૂર્વ અને ઐતિહાસિક છે. તેઓએ કહ્યું કે આમચી મુંબઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે ઈમાનદારીથી પ્રયાસ કર્યા છે. ફડણવીસ સરકારે મુંબઈ અને મહારાષ્ટ્રના આ એક પ્રોજેક્ટ માટે કેટલા પ્રયાસ કર્યા છે તે હું જાણું છું. બાંદ્રા અને કુર્લા એક્સપ્રેસ હાઈવેને જોડનારા પ્રોજેક્ટ લાખો પ્રોફેશનલ્સને માટે રાહત લઈને આવશે. BKC બિઝનેસ એક્ટીવિટીનું મોટું સેન્ટર છે. અહીં આવવું જવું હવે સરળ બનશે. આ તમામ પરિયોજનાઓને હું આવકારું છું.
આજે એટલે કે 7 સપ્ટેમ્બરે પીએમ મોદી મુંબઈના પ્રવાસે છે. મુંબઈમાં હાલમાં 5 મેટ્રો લાઈનનું કામ ચાલી રહ્યું છે. આ પાંચ મેટ્રો લાઈનની સાથે અન્ય 3 મેટ્રો લાઈનને પણ જોડવામાં આવશે. આ 3 મેટ્રો લાઈન જોડાઈ જતાં મેટ્રો લાઈનની કુલ લંબાઈ 270 કિલોમીટરથી વઘારે થશે.પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત મરાઠી ભાષામાં કરી હતી. સૌને આ અવસરે ગણેશ ચતુર્થીની શુભકામના પણ પાઠવી.
ત્રણેય લાઈનો શહેરના મેટ્રોના 42 કિલોમીટરથી વધારે અંતરને જોડશે. તેમાં 9.2 કિલોમીટર લાંબી ગાયમુખથી શિવાજી ચોક મેટ્રો 10 અને 12.7 કિલોમીટર લાંબી વડાલાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ્સ મેટ્રો 11 લાઈન અને સાથે જ 20,7 કિલોમીટર લાંબી કલ્યાણથી તલોજા મેટ્રો -12 લાઈનનો સમાવેશ થાય છે. આ ત્રણ નવી મેટ્રો લાઈનના કારણે મુંબઈ શહેર અને મુંબઈ પરિસરના મેટ્રો માર્ગનું એક સર્કલ પૂર્ણ થશે.