ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે નાગરિકોને થોડા જ દિવસોમાં કોરોના વાયરસની વેક્સિનનો ડોઝ આપી દેવામાં આવશે ત્યારે હવે કોરોના સામે મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. દેશના વડાપ્રધાન મોદી પોતે આ મહાઅભિયાનની શરૂઆત કરાવશે.
પીએમ મોદી પોતે મહાઅભિયાનની કરાવશે શરૂઆત
નીતિ આયોગના વીકે પોલે આપી જાણકારી
પીએમ મોદીના કાર્યક્રમ માટે સમગ્ર તૈયારીઓ પૂરજોશમાં ચાલુ
નરેન્દ્ર મોદી વેક્સિનેશનની કરાવશે શરૂઆત
ભારતમાં કોરોના વાયરસને હરાવવા માટે હવે 16મી જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત થવા જઈ રહી છે. રસીકરણની શરૂઆત પીએમ મોદી પોતે કરાવશે. નીતિ આયોગના સદસ્ય વીકે પોલે આ વાતની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી વેક્સિનનેશનની શરૂઆત કરશે અને આ કાર્યક્રમ માટે અત્યારે કામ કરવામાં આવી રહ્યું છે.
સૌથી પહેલા 3 હજાર કેન્દ્ર પરથી આપવામાં આવશે રસી
સૌથી પહેલા શનિવારે એક સાથે 3 હજાર કેન્દ્ર પરથી રસીકરણની શરૂઆત કરવામાં આવશે અને પ્રત્યેક કેન્દ્ર પરથી એક એક ફેઝમાં લોકોને કોરોના વાયરસની રસીનો ડોઝ આપવામાં આવશે. વીકે પોલે કહ્યું કે જેમ જેમ કોરોના વાયરસની રસી લોકોને આપવામાં આવશે તેમ તેમ કેન્દ્રની સંખ્યા પણ વધારવામાં આવશે અને થોડા દિવસ પછી 5 હજારથી વધારે કેન્દ્રો પરથી કોરોના વાયરસની રસી આપવામાં આવશે.
ભારતમાં મહામારી સામે મહાજંગ
નોંધનીય છે કે પહેલા જ દિવસે આશરે ત્રણ લાખ લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપી દેવાની યોજના બનાવવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રાજ્યોને સૂચના આપવામાં આવી છે કે પ્રત્યેક સ્થળ પર વધારે સંખ્યામાં રસીકરણ ન કરવામાં આવે. દરરોજ એક ફેઝમાં આશરે 100 ડોઝ આપવામાં આવે તે પ્રકારે આ મહાઅભિયાન ચલાવવામાં આવે.
કોરોના વેક્સિનેશન માટેની તૈયારીઓ
દેશભરમાં કોરોના વેક્સિનેશન માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે 3 લાખ સ્વાસ્થ્ય કર્મીને કોરોનાની રસી આપવામાં આવશે. 16 જાન્યુ.એ 2934 જગ્યા પર વેક્સિનેશનની કામગીર શરૂ કરાશે અને એક કેન્દ્ર પર સરેરાશ 100 લોકોને રસી આપવામાં આવશે. સરકારે કોરોના વેક્સિનના 1.65 કરોડ ડોઝ ખરીદી લીધા છે જેમાં કોવિશિલ્ડના 1.1 કરોડ ડોઝ અને કોવેક્સિનના 55 લાખ ડોઝ લેવામાં આવ્યા છે.