કોરોના કાળમાં 2 વર્ષ બંધ રાખવામાં આવેલો ખેલ મહાકુંભ ફરીથી યોજાવવા જઈ રહ્યો છે. અમદાવાદના નવરંગપુરા ખાતે સરદાર પટેલ સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચેના રોજ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે તેની આજે જાહેરાત પણ થઈ ચૂકી છે.
કાર્યક્રમની તૈયારીઑનો ધમધમાટ શરૂ
PM મોદીના આગમનને લઈને સરદાર પટેલ સ્ટેડીયમ તેમજ આસપાસના વિસ્તારોમાં અમદાવાદ મનપા દ્વારા તૈયારી પણ ચાલુ કરી દેવામાં આવી છે. પશ્ચિમ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે પટેલ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.આર ખરસાણને સ્ટેડિયમના કાર્યક્રમ અંગે જવાબદારી સોંપવામાં આવી છે.હાલ અધિકારીઓ બેઠકો કરી ભવ્ય ખેલમહાકુંભને સફળ બનાવવામાં જોતરાઈ ગયા છે.
PM મોદીની સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે અધિકારીઑને મોટી જવાબદારીઓ સોંપાઈ
આયોજન સ્થળ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઝોન અને વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ સાથે રાઉન્ડ લઈને તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી. જે બાદ રંગરોગાન સાફ-સફાઈ અને રોડની રિપેરિંગની કામગીરી પણ શરૂ કરી છે. PM મોદીની સુરક્ષા માટે પણ અલગ અલગ અધિકારીઑને મોટી જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. તેમજ કોઈ ચૂક ન રહી જાય તે માટે સતત કેન્દ્રની એજન્સીના સંપર્કમાં રહી આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ હોર્ડિંગ્સ, બેનરો, સિક્યુરિટી, સ્ટેજ, ગ્રીનરૂમ, સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલરૂમ, પાર્કિંગની વ્યવસ્થા અંગે પણ ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
કેટલા ખેલાડીઓએ ખેલ મહાકુંભ માટે કરાયું છે રજીસ્ટ્રેશન?
ખેલ મહાકુંભમાં 21,61,954 ખેલાડીઓએ ખેલ મહાકુંભ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 12,66,168 પુરુષ તેમજ 8,95,786 મહિલા ખેલાડી ભાગ લેશે. 76543 ટીમો ભાગ લેશે જેમાં 46272 પુરુષ ટીમ તો 30271 મહિલા ટીમો ભાગ લેશે
ખેલ મહાકુંભનો હેતુ શું છે?
રમત-ગમત ક્ષેત્રે વિશિસ્ટ કૌશલ્ય ખિલવવાના હેતુ સાથે ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપવામાં આવે છે. વધુમાં ખાસ પ્રશિક્ષણ, રમતગમતના સાધનો અને માળખાગત સવલતો પુરી પાડીને તેની ગુણવત્તામાં વધારો કરવામાં આવે છે. ચંદ્રકો જીતી શકે તેવી ક્ષમતા ધરાવતા રમતવીરોને જુદી જુદી ઔપચારિક તેમજ અનૌપચારિક સ્પર્ધાઓ શોધી કાઢવામાં આવે છે અને તેમને વિવિધ પ્રકારનું સધન પ્રશિક્ષણ આપવામાં આવે છે.વ્યૂહ રચનામાં આ ઉદ્દેશો સિધ્ધ થાય તે માટેની વિવિધ પ્રવૃતિઓનો સમાવેશ થાય છે. જેનાથી તેની કામગીરીલક્ષી ઉદ્દેશો પણ આપોઆપ નકકી થાય છે. જો કે એસ.એ.જી. ખાસ કરીને તો રમતગમતને લગતી સરકારની યોજનાઓનો અમલ કરે છે. આ યોજનાઓ સરકારના અંદાજપત્રમાં સમાવિષ્ટ. હોય છે જે અગાઉ યુવક સેવા આયુકતની કચેરી રાજય ખેલકુદ પરિષદના પરામર્શ સાથે ચલાવવામાં આવતી હતી. એસ.એ.જી.ની સ્થાપના થયા બાદ તેમાં કેટલીક નવી રમતગમતો ઉમેરવામાં આવી છે.
ખેલ મહાકુંભ 2022 વિષે ક્યાંથી મેળવી શકાય જાણકારી?
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ખેલ મહાકુંભનું આયોજન કરે છે. જે માટેની https://khelmahakumbh.gujarat.gov.in નામની સાઈટ પર જઈ તમામ વિગતો તેમજ રજીસ્ટ્રેશનની પ્રક્રિયાથી લઈ તમામ અપડેટની માહિતી મેળવી શકાય છે.