BIG BREAKING: રશિયા અને યુક્રેન મુદ્દે આજે PM મોદી રક્ષા મામલાની કેબિનેટ કમિટીની બેઠક કરશે, વિદ્યાર્થીઓની વાપસી મુદ્દે થઈ શકે છે ચર્ચા
રશિયા અને યુક્રેન વચ્ચે પરિસ્થિતિ વણસી
પ્રધાનમંત્રી મોદીએ બોલાવી હાઇલેવલ મીટિંગ
કેબિનેટ કમિટી ઑન સિક્યુરિટીની બેઠક આજે
બેઠકમાં લેવાઈ શકે છે મોટા નિર્ણય
ભારત આવ્યું એક્શન મોડમાં
રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે રશિયા પોતાના ઈરાદાઓમા સફળ થઈ જશે. યુક્રેનના રાષ્ટ્રપતિ હજુ પણ લડી લેવાના મૂડમાં છે ત્યારે પુતિન યુક્રેનની સેનાને પણ રશિયાની સાથે આવી જવા અપીલ કરી છે. રશિયા સામે યુક્રેનનો સીધો સાથ આપવા માટે કોઈ જ દેશ આગળ આવી રહ્યો નથી, અમેરિકા જેવા દેશો નિંદા કરી રહ્યા છે અને પ્રતિબંધો લગાવી રહ્યા છે પરંતુ હજુ સુધી યુક્રેનની સેનાને કોઈ જ સાથ આપવામાં આવ્યો નથી. એવામાં ભારત પણ આ મુદ્દે એક્શનમાં આવ્યું છે.
પ્રધાનમંત્રી મોદીની હાઇલેવલ મીટિંગ
યુક્રેન યુદ્ધ મામલે પ્રધાનમંત્રી મોદી પહેલા દિવસથી જ એક્ટિવ છે. રશિયાના રાષ્ટ્રપતિને યુદ્ધ બાદ સૌથી પહેલા ફોન કરનારા પણ પ્રધાનમંત્રી મોદી જ છે ત્યારે આજે આ મુદ્દે એક હાઇલેવલ મીટિંગ પણ થવા જઈ રહી છે. આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સુરક્ષા મામલાની કેબિનેટ કમિટીની બેઠક કરશે, આ બેઠકમાં NSA અજીત ડોભાલની સાથે રક્ષામંત્રી, વિદેશમંત્રી અને ગૃહમંત્રી પણ સામેલ થવાના છે. આ બેઠકમાં યુક્રેનમાં ફસાયેલા હજારો લોકોને કઈ રીતે બહાર કાઢવામાં આવશે તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે, આ સિવાય આવી પરિસ્થિતિમાં રશિયા અને યુક્રેન વચ્ચે ભારતે કેવો પક્ષ રાખવો તે મુદ્દે પણ નિર્ણય લઈ શકાય છે.
ભારત કેવી રાખશે વિદેશનીતિ
નોંધનીય છે રશિયા, અમેરિકા અને યુક્રેન ત્રણેય દેશો ભારતના પક્ષ પર નજર રાખી રહ્યા છે. યુક્રેને રશિયા સામે ભારતની ખૂલીને મદદ માંગી હતી અને કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ મોદીની વાત સાંભળશે એટલે મોદી પુતિનને સમજાવે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડને પણ નિવેદન આપ્યું હતું કે યુક્રેન યુદ્ધ મુદ્દે અમે ભારત સાથે ચર્ચા કરીશું. બીજી તરફ પ્રધાનમંત્રી મોદી અને પુતિન બંને પહેલેથી જ એકબીજા સાથે સંવાદમાં છે ત્યારે ભારત આગામી સમયમાં કેવી વિદેશનીતિ બનાવે છે તે મુદ્દે પણ આજે પ્રધાનમંત્રી મોદી બેઠકમાં નિર્ણય લઈ શકે છે.
રશિયા કીવ સુધી પહોંચી ગયું
યુક્રેન પર રશિયા દ્વારા હુમલાના કારણે અત્યારે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. દુનિયાભરની ધમકીઑને નજરઅંદાજ કરીને પુતિન પોતાના દમ પર આગળ વધી રહ્યા છે અને યુક્રેનની રાજધાની કીવ સુધી રશિયાની સેના પહોંચી ગઈ છે. રશિયાના રાષ્ટ્રપતિ યુક્રેનમાં સરકારનો તખતાપલટ કરી દેવા માંગે છે અને સેનાને આહવાહન કર્યું છે કે તે રાશિયાનો સાથ આપવાની શરૂઆત કરી દે. જોકે બીજી તરફ દુનિયાભરના દેશો રશિયા સામે એક થઈ રહ્યા છે ત્યારે UNSCમાં ભારતે પણ આ સ્થિતિ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે.
UNSC માં ભારતનું નિવેદન
યુક્રેન પર કરવામાં આવેલ હુમલા મામલે ભારતના પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ UNSCમાં નિવેદન આપ્યું હતું કે યુક્રેનમાં ઍટેક થયા બાદ હાલના ઘટનાક્રમથી ભારત ખૂબ જ ચિંતિત છે. હિંસા અને દુશ્મનીને સમાપ્ત કરવા માટે પ્રયાસ કરવો જોઈએ અને માનવ જીવનની કિંમતે કોઈ સમાધાન નીકળી શકશે નહીં. અમે ભારતીયોની સુરક્ષાને લઈને ચિંતિત છીએ કારણ કે યુક્રેનમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ વસવાટ કરે છે. કૂટનીતિનો રસ્તો છોડી દેવામાં આવ્યો તે ખૂબ જ ગંભીર બાબત છે અને વિવાદો દૂર કરવા માટે વાતચીત જ એકમાત્ર વિકલ્પ છે.
UNSCમાં ભારતે ન કર્યું વોટિંગ
નોંધનીય છે કે યુક્રેન પર કરવામાં આવેલ હુમલાના વિરોધમાં UNSC માં પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં રશિયાની નિંદા કરવામાં આવી હતી જોકે ભારતે આ પ્રસ્તાવમાં વોટિંગમાં ભાગ લીધો હતો નહીં. રશિયા ભારતનું ખૂબ જ ગાઢ મિત્ર રાષ્ટ્ર છે એવામાં આવા સમયે રશિયા સામે વોટિંગ કરીને સંબંધ બગાડવાની જગ્યાએ ભારતે વોટિંગમાંથી ગેરહાજર થવાનો નિર્ણય કર્યો હતો.
આ સિવાય ચીન અને UAE એ પણ વોટિંગમાં ભાગ લીધો હતો અને આડકતરી રીતે રાશિયાનો સાથ આપ્યો હતો. જોકે 15 સભ્ય દેશોમાંથી 11 દેશોએ રશિયાની સામે નિંદા પ્રસ્તાવની તરફેણમાં વોટિંગ કર્યું હતું. અમેરિકા,બ્રિટન,ફ્રાંસ,અલ્બાનિયા,બ્રાઝિલ, ગેબોન,ઘાના,આયરલેંડ,કેનિયા,મેક્સિકો અને નોર્વેએ રશિયાની વિરુદ્ધમાં વોટિંગ કર્યું હતું.