વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે ગુજરાતમાં ઉજ્જવલા યોજના 2.0નો પ્રારંભ કરવામાં આવશે.આ યોજના અંતર્ગત લગભગ 1 લાખ નાગરિકોને નવા કનેક્શન આપી લાભાન્વિત કરવામાં આવશે.
એક લાખ નાગરીકોએ ભર્યા છે ફોર્મ
વડપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે પોતાના આયુષ્યના 71 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે,દેશના પ્રધાનમંત્રીના જન્મદિવસની મહામૂલી ભેટ તરીકે રાજ્યના 1 લાખ નાગરિકોને ઉજ્જવલા યોજનાની ભેટ આપવામાં આવશે.છેલ્લા કેટલાક સમયમાં આ યોજનાથી લાભાન્વિત થવા માટે 1 લાખથી વધુ નાગરીકોએ ફોર્મ ભર્યા છે. રાજ્યની તમામ ગેસ એજન્સીઓ પરથી નવા ગેસ કનેક્શન ફાળવવામાં આવશે.
પુરવઠા વિભાગની તૈયારી
રાજ્યના અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગે નવા ગેસ કનેક્શન ફાળવવા અંગેની તૈયારી આરંભી દીધી છે.નવા કનેક્શન માટે જ્યાં ગેસ એજન્સીઓ નહિ હોય ત્યાં,પેટ્રોલ પંપ પરથી નવા સિલીન્ડરની ફાળવણી કરાશે.પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMYU) અંતર્ગત એકલા ગુજરાતમાં જ BPLલાભાર્થીઓને 12.75 લાખ LPG કનેક્શન નિ :શુલ્ક અપાયા છે.આ યોજના અંતર્ગત અત્યાર સુધી 3 કરોડ 58 લાખ કનેક્શન અપાઈ ચૂક્યા છે. પરંતુ,પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસના વિશેષ પ્રસંગે 1 લાખ લાભાર્થીઓને ગેસ કનેક્શન મળશે.
આપને જણાવી દઈએ કે, ઉજ્જવલા યોજના કેન્દ્ર સરકાર દ્વરા તમામ આર્થિક રીતે નબળાં વર્ગના નાગરિકોને ગેસ સીલીન્ડર ઉપલબ્ધ કરવા શરુ કરવામાં આવી છે.આ યોજના અંતર્ગત દેશના 8.3 કરોડ નાગરીકો લાભાન્વિત થયા છે.