પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાઇ શકે છે ગુજરાત સરકારના નવા મંત્રીઑનો શપથવિધિ સમારોહ, આવતી કાલે PM મોદી ગુજરાત આવવાની સંભાવના:સૂત્ર
PM મોદી આવશે ગુજરાત : સૂત્ર
ગુજરાતનાં રાજકારણમાં નવા મુખ્યમંત્રી બાદ મંત્રીમંડળને લઈને રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીની અંદર નો રિપીટ થીયરી અપનાવવામાં આવી છે જે બાદ ભારતીય જનતા પાર્ટીનાં મોટા ભાગનાં મંત્રીઓ નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. રૂપાણી સરકારમાં 22 મંત્રીઓ હતા જે બધા જ મંત્રીઓને ઘર ભેગા કરી દેવાની થીયરી સામે આવી હતી. જે બાદ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પીએમ મોદી પોતે ગુજરાત આવી શકે છે અને પીએમ મોદીની હાજરીમાં જ નવા મંત્રીઓની શપથવિધિ યોજવામાં આવી શકે છે.
પીએમ મોદી પોતે ગુજરાત આવશે
ગુજરાત ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતાઓને મનાવવાની જવાબદારી ભૂપેન્દ્ર યાદવ અને બીએલ સંતોષની છે ત્યારે ગઇકાલે જ સતત બેઠકોનો દોર યથાવત છે. એવામાં આજે જે શપથગ્રહણ નક્કી કરવામાં આવ્યો હતો તેને હવે ટાળી દેવામાં આવ્યો છે. શપથગ્રહણને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે તથા ભાજપ દ્વારા મીડિયા સામે કોઈ જ માહિતી આપવામાં આવી નથી ત્યારે હવે પીએમ મોદી પોતે ગુજરાત આવશે તેવી શક્યતા છે.
અચાનક જ શપથ ગ્રહણ પર લાગ્યું ગ્રહણ
અચાનક જ મંત્રી મંડળ શપથવિધિનો કાર્યક્રમ રદ્દ કરી દેવાતા ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો, 15 સપ્ટેમ્બરના રોજ 4.20 કલાકે નો રિપિટેશનના નિર્ણય આધારે મંત્રીઓનો શપથ કાર્યક્રમ યોજાવાનો હતો પરંતુ છેલ્લી ઘડીએ શપથ ગ્રહણ પર ગ્રહણ લાગતાં ગુરુવારે એટલે કે આવતીકાલે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે, નો રિપિટેશનના નિર્ણયને મોવડી મંડળે વધાવ્યો છે. જૂના મંત્રીઓને નવા મંત્રી મંડળમાં સ્થાન નહીં મળે. પોલીસને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ ગઈ છે.
ભારતીય જનતા પાર્ટીની અંદરનો ક્લેશ ચરમસીમાએ
નોંધનીય છે કે આજે સવારથી જ ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓનાં જીવ અદ્ધર થઈ ગયા હતા. એક બાદ એક ધારાસભ્યો પાટિલ સાથે બેઠક કરવા પહોંચી રહ્યા હતા જે બાદ બપોરનાં સમયે જાણકારી સામે આવી કે રૂપાણી સરકારમાં જેટલા મંત્રી હતા તેમાંથી એકેય મંત્રીને ફરીથી સ્થાન આપવામાં આવશે નહીં. આ સમાચાર સામે આવતા જ ભારતીય જનતા પાર્ટીની અંદર પણ ભૂકંપ આવી ગયો હતો. સવારથી હલચલ તેજ હતી ત્યારે અંતે શપથગ્રહણને આવતીકાલે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર માહિતી સામે આવી રહી છે કે નો રિપીટ થીયરીનાં કારણે ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતાઓ નારાજ થયા હોવાની વાત પણ સામે આવી રહી છે. જોકે સૂત્રોનું એમ પણ માનવું છે કે ગુજરાતમાં જે પણ નવા મંત્રીઓ બનશે તેનો અંતિમ આદેશ PMO તરફથી આપવામાં આવશે અને મંત્રીઓનું લીસ્ટ પહેલા PMOમાં જ મોકલવામાં આવશે.
નોંધનીય છે કે આજે સવારથી જ શપથવિધિને લઈને ધારાસભ્યોનાં મનમાં અસમંજસની પરિસ્થિતિ હતી. પહેલા સમાચાર સામે આવ્યા કે બપોરે બે વાગે શપથવિધિ યોજાશે અને તે બાદ ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીની અંદરનો ક્લેશ સપાટી પર આવ્યો હતો.
ગુજરાતના 17માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળને લઈને મોટી ઉથલ પાથલના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, ભાજપના કેટલાક દિગ્ગજ નેતાઓમાં નો રિપીટ થિયરીને લીધે નારાજગી જોવા મળી રહી છે. ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં 100 ટકા નો-રિપીટની થીયરી અપનાવવામાં આવી શકે છે અને જૂના મંત્રીઓને પડતા મુકીને નવા ચહેરાઓને સરકારમાં સ્થાન મળી શકે તેમ છે.