શિપિંગ મિનિસ્ટ્રીનું નામ બદલીને હવે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ રાખવામાં આવશે. PM મોદીએ આજે આ જાહેરાત કરી છે.
PM મોદીએ આજે સુરતમાં હજીરા અને ભાગનગર જિલ્લાના ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ શરુ કરી હતી. આ દરમિયાન તેમણે શિપિંગ મંત્રાલયનું નામ બદલવાની જાહેરાત કરી હતી.
આ રો-પેક્સ સેવાથી બંને સ્થાનો વચ્ચેના 370 કિ.મી.ની મુસાફરીનું અંતર જળ માર્ગ દ્વારા 90 કિ.મી. ઘટી જશે. આ અગાઉ, આ વર્ષે જુલાઈમાં, મોદી સરકારે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય રાખ્યું છે.
દેશ પાસે છે 21 હજાર કિમીનો જળમાર્ગ
શિપિંગ મંત્રાલયનું નામ બદલતી વખતે PM મોદીએ કહ્યું હતું કે "દેશમાં આશરે 21 હજાર કિલોમીટર જળમાર્ગ છે, દેશના વિકાસમાં તેમનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આજે, સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત, દેશભરમાં 500થી વધુ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે, આમાંના ઘણા પ્રોજેક્ટ્સ પૂર્ણ પણ થઈ ગયા છે. નોંધનીય છે કે જળમાર્ગ સડક અને રેલમાર્ગ કરતા સસ્તું ટ્રાન્સપોર્ટેશન મોડેલ છે.
હવે કામમાં પણ આવશે સ્પષ્ટતા
PM મોદીએ કહ્યું કે "મોટાભાગના વિકસિત અર્થતંત્રોમાં શિપિંગ મંત્રાલય બંદરો અને જળમાર્ગો પણ સંભાળે છે. હવે નામમાં વધુ સ્પષ્ટતા થવાથી કામમાં પણ વધુ સ્પષ્ટતા આવશે."