ભારત-ચીનના તણાવ અને કોરોના સંકટની વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. PMO દ્વારા ટ્વિટ કરી આ બાબતે જાણકારી અપાઈ હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે રાષ્ટ્ર સમક્ષ પોતાનું સંબોધન કરશે. પીએમ મોદી 30 જૂને સાંજે 4 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે તેવી જાણકારી પીએમ ઓફિસ દ્વારા ટ્વિટ કરીને અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે દેશમાં એક તરફ કોરોના વાયરસના આંકડા ઝડપથી વધી રહ્યા છે, તો બીજી તરફ ગલવાન ખીણમાં હિંસક અથડામણ બાદ ચીન સાથે તણાવ યથાવત્ છે. આવી સ્થિતિમાં પીએમ મોદીનું મંગળવારે રાષ્ટ્રને સંબોધન ખૂબ મહત્વનું માનવામાં આવે છે.
Prime Minister @narendramodi will address the nation at 4 PM tomorrow.
આવતીકાલે પીએમ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન ખાસ કરીને કયા મુદ્દા પર હશે તેના પર સૌની નજર રહેશે. ચીન સાથેના તણાવ મુદ્દે પીએમ મોદી પોતાના સંબોધનમાં વાત કરી શકે છે. જ્યારે અનલૉક 2ની પણ જાહેરાત થઈ છે ત્યારે આગામી સમયમાં દેશમાં કોરોનાને લઈને શું રણનીતિ રહેશે તેના પર પણ ઘણાં અંશે પ્રકાશ પાડી શકે છે.
આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધન કરતા કોરોનાથી લઈને વાવાઝોડું, તીડનો હુમલો તેમ જ લદ્દાખમાં શહીદ થયેલા જવાનોનો ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે સેંકડો આફતોએ દેશ પર આક્રમણ કર્યુ છે પરંતુ ભારત તેનો સામનો કરીને બહાર આવ્યું છે. જ્યારે ચીનનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યું હતું કે લદ્દાખમાં ભારતની તરફ આંખ ઉઠાવીને દેખનારાઓને કડક જવાબ મળ્યો છે.