પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ખેડૂતો સાથે વીડિયો કોન્ફરન્સ દરમ્યાન સંબોધન કર્યુ હતું. જેમાં ખાસ કરીને તેમણે નવા કૃષિ કાયદાની વિસ્તારપૂર્વક પ્રથમ વખત વાત કરી હતી. તેમણે વિપક્ષને પણ આડેહાથ લઈ ખેડૂતોને આ મુદ્દે ભરમાવાનું બંધ કરવા માટે અપીલ કરી હતી.
મધ્યપ્રદેશના ખેડૂતોને પ્રધાનમંત્રીએ કર્યું સંબોધન
ખેડૂતો સાથે નતમસ્તક થઈ વાત કરવા તૈયાર : PM મોદી
ખેડૂતોને પીએમ મોદીનો સંદેશ
પીએમ મોદીએ ખેડૂતોને સંદેશ આપતા કહ્યું કે જો કોઇ પણને આશંકા છે, તો અમે નતમસ્તક હાથ જોડીને દરેક મુદ્દા પર વાત કરવા તૈયાર છીએ. દેશના ખેડૂતો, ખેડૂતોનું હિત અમારા માટે સર્વોચ્ચ છે. પીએમ મોદીએ કહ્યું 25 ડિસેમ્બરના રોજ એકવાર ફરી દેશના ખેડૂતો સાથે સંવાદ કરીશ.
ન MSP બંધ થશે ન ખતમ : PM મોદી
PM મોદીએ સંબોધન દરમ્યાન કહ્યું MSP ક્યારેય બંધ થવાની નથી કે ખતમ પણ થવાની નથી. જો MSP ખતમ જ કરવી હોત તો પછી સ્વામિનાથન કમિશન લાગુ જ કેમ કર્યુ હોત. ખેડૂતોના હિતની વાતો કરનારા લોકો, ખોટા આંસુ સારનારા લોકો કેવા છે, તેનો પુરાવો સ્વામીનાથન કમિશનનો અહેવાલ છે. આ લોકોએ આ અહેવાલ 8 વર્ષ સુધી દબાવીને બેસી રહ્યા.
અગાઉની સરકારને લાગ્યું કે ખેડૂતો પર વધારે ખર્ચ કરવો પડ્યો નથી, તેથી અહેવાલને દબાવીને રાખ્યો. અમારી સરકાર ખેડૂતોને અન્નદાતા માને છે. અમે સ્વામિનાથન કમિશનનો અહેવાલ નીકાળ્યો. ખેડુતોને દોઢ ગણું MSP આપ્યું. ખેડુતો સાથે છેતરપિંડીનું ઉદાહરણ દેવું માફીનું વચન છે.મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા કહેવાતું હતું કે દેવુંમાફ કરી દઇશું, પરંતુ કશું થયું નહીં. રાજસ્થાનના લાખો ખેડુતો હજી પણ દેવા માફીની રાહ જોઈ રહ્યા છે. મને લાગે છે કે નિર્દોષ ખેડૂતોની સાથે આટલી હદ સુધી છળ- કપટ કેવી રીતે કરી શકે.
રાતોરાત નથી આવ્યા આ કાયદા : PM મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું કે, છેલ્લા 20-22 વર્ષથી દરેક સરકારે આ વિશે વિસ્તૃત ચર્ચા કરી છે. ઓછામાં ઓછી બધી સંસ્થાઓએ આ વિશે ચર્ચા કરી છે. દેશના ખેડૂતો, ખેડૂત સંગઠનો, કૃષિ નિષ્ણાંતો, કૃષિ અર્થશાસ્ત્રીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતો પણ સતત કૃષિમાં સુધારો કરવાની માંગ કરી રહ્યા છે.
નવા કાયદા પછી એક પણ બજાર બંધ કરાયું નથી. તો પછી આ જૂઠ્ઠાણું કેમ ફેલાવવામાં આવી રહ્યું છે? સત્ય એ છે કે અમારી સરકાર APMCના આધુનિકીકરણ, તેમના કમ્પ્યુટરકરણ પર 500 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરી રહી છે. તો પછી બંધ થવાની આ વાત ક્યાંથી આવી?
પીએમ મોદીએ કહ્યું કે જેઓ તેમના મેનિફોસ્ટોમાં આ સુધારાની હિમાયત કરતા હતા, પરંતુ તેનો અમલ કદી કર્યો નહીં. પીએમ મોદીએ કહ્યું કે, જો પક્ષોનો જૂનો ચૂંટણી ઢંઢેરો, કૃષિ ક્ષેત્રને સંભાળતા લોકોના પત્ર જોવામાં આવે તો નવા કૃષિ સુધારણામાં પણ આ જ કરવામાં આવ્યું છે. આજે મોદીએ તે કેમ કરી દીધું તેનાથી વિરોધીઓ પરેશાન છે.
તેમણે કહ્યું કે મને ક્રેડિટ ના આપો, તમારા જૂના ચૂંટણીઢંઢેરાના ક્રેડિટ આપુ છું. હું ખેડૂતોની ભલાઇ ઇચ્છું છું, તમે ખેડૂતોને ભ્રમિત કરવાનું છોડી દો. આ કાયદો લાગુ થયાને 6 મહિનાથી વધારે સમય થઇ ગયો, પરંતુ અચાનક વિપક્ષ એવા મુદ્દાને ઉઠાવી રહી છે. ખેડૂતોના ખભા પર બંદુક રાખવામાં આવી રહી છે.
કોંગ્રેસે દેશમાં ખેડૂતોની સાથે છેતરપિંડી કરી
આજે યુરિયાની અછતના સમાચાર નથી આવતા, યુરિયા માટે ખેડૂતને લાઠીચાર્જ સહન કરવો પડતો નથી. અમે ખેડૂતોની આ તકલીફને દૂર કરી ઇમાનદારીથી કામ કર્યું. અમે કાળાબજારી રોકી, કડક પગલા ઉઠાવ્યાં.