પ્રધાનમંત્રી નરેદ્ર મોદી આજે ઉત્તરપ્રદેશની મુલાકાતે છે. તેઓ ઉત્તરપ્રદેશના શાહજહાંપુર પહોંચ્યા હતા અને ખેડૂતોની એક મહારેલીને સંબોધન કર્યું હતું. આ સમયે પીએમ મોદીએ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને લઈને પણ પ્રહારો કર્યા હતા. ખેડૂતોને સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું કે પહેલીવાર યુપીમાં ખેડૂતોને તેમની ઉપજનો યોગ્ય ભાવ આપવાનું કામ ભાજપ સરકારે કર્યું છે.
સમગ્ર દેશના ખેડૂતો અમને આશિર્વાદ આપી રહ્યાં છે. કેટલાંક દિવસ અગાઉ શેરડીના ખેડૂતો મને મળવા માટે દિલ્લી આવ્યા હતા. મેં તેમને કહ્યું કે ખૂબ જ ઝડપથી શેરડીના ખેડૂતોને એક સારા સમાચાર મળશે. એ વાયદો પાળવા માટે જ હું અહીં આવ્યો છું. આ વખતે જે ખેડૂતોએ શેરડી વાવી છે તેમને તેમની ઉપજ પર બે ગણો ભાવ મળશે. શેરડીના ખેડૂતોને શેરડીની ઉપજ મૂલ્ય પર અંદાજે 80 ટકા સીધો લાભ મળશે. ડાંગર મકાઈ દાળ અને તેલયુક્ત 14 પાકના સરકારી મૂલ્યમાં રૂ. 200થી રૂ. 1800નો વધારો દેશના ઇતિહાસમાં ક્યારેય નથી થયો.
તો વિપક્ષ પર હુમલો કરતા પીએમ મોદીએ જણાવ્યું કે આજે જે લોકોએ ખેડૂતો માટે ઘડિયાલી આંસુ વહાવી રહ્યાં છે તેમની પાસે પણ આ કામ કરવાની તક હતી. પણ ખેડૂતો માટે કામ કરવા સમય ન હોતો. ગઈકાલે સાંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો પણ જ્યારે અમે પૂછ્યું કે શા માટે અવિશ્વાસ પ્રસ્તાવ છે ? ત્યારે તેનો જવાબ અમને તો શું પણ દેશને પણ ન આપી શક્યા...અને છેલ્લે ગળે પડયાં. એક દળમાં જ્યારે બીજુ દળ ભળે ત્યારે દલદલ થઈ જાય છે અને કમળ હંમેશા કાદવમાં જ થાય છે.