યુક્રેન સંકટને લઇને PM મોદીએ અનેક યુરોપીય નેતાઓ સાથે વાતચીત કરી હતી. જે અંગેની જાણકારી ખુદ PMO એ આપી છે. આ સાથે તેઓએ યુદ્ધ પ્રભાવિત દેશમાં બગડતી જતી સ્થિતિ અને માનવીય સંકટ પર પણ પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. સાથે યુદ્ધને સમાપ્ત કરવા માટે દેશની અપીલને પણ વ્યક્ત કરી.
યુક્રેન સંકટને લઇ PM મોદીની અનેક યુરોપીય નેતાઓ સાથે વાતચીત
જાણો કયા-કયા નેતાઓનો PM મોદીએ માન્યો આભાર
PM મોદીએ યુદ્ધને કરી ખતમ કરવાની વાતચીત
તમામ દેશોની પ્રાદેશિક એકતા અને અખંડિતતાનું સન્માન જ સમકાલીન વિશ્વ વ્યવસ્થાને મજબૂત બનાવે છે
રશિયાન સેનાએ યુક્રેન પર હુમલો તેજ કર્યા બાદ PM મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રજેજ ડૂડા અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલ સાથે વાતચીત કરી હતી. PMO નાં જણાવ્યાં અનુસાર, મેક્રોન સાથેની ચર્ચા દરમિયાન PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'ભારત માને છે કે આંતરરાષ્ટ્રીય કાયદા, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને તમામ દેશોની પ્રાદેશિક એકતા અને અખંડિતતા પ્રત્યેનું સન્માન જ સમકાલીન વિશ્વ વ્યવસ્થાને મજબૂત બનાવે છે.'
વડાપ્રધાને રશિયા અને યુક્રેન વચ્ચેની વાટાઘાટોનું સ્વાગત કર્યું હતું અને મુક્ત અને અવરોધ વિના માનવતાવાદી પ્રવેશ સુનિશ્ચિત કરવાની સાથે-સાથે લોકોની અવરજવરને પણ સરળ બનાવવા પર ભાર મૂક્યો હતો. વાતચીત દરમિયાન, વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ મેક્રોનને યુદ્ધ પ્રભાવિત વિસ્તારમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા તેમજ ત્યાં અસરગ્રસ્ત લોકો માટે દવાઓની સાથે-સાથે જરૂરી રાહતસામગ્રી મોકલવાના ભારતના પ્રયાસો વિશે પણ માહિતગાર કર્યા હતાં.
PMO નાં જણાવ્યાં અનુસાર વડાપ્રધાન મોદીએ પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રજેજ ડુડા સાથે પણ વાતચીત કરીને યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને નીકાળવામાં મદદ કરવા માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. ડૂડા સાથેની ચર્ચા દરમ્યાન વડાપ્રધાને યુક્રેનથી પોલેન્ડની સીમામાં પ્રવેશ કરવા માટે વીઝાની આવશ્યકતામાં ઢીલ આપવા માટે તેઓને ધન્યવાદ પણ પાઠવ્યાં. PMO ના અનુસાર, PM મોદીએ પોલેન્ડના નાગરિકો દ્વારા મુશ્કેલીના સમયમાં ભારતીય નાગરિકોને સંભવ તમામ પ્રકારની મદદ પહોંચાડવા માટે વિશેષ રૂપથી પ્રશંસા કરી હતી.
મોદીએ ડૂડાને જણાવ્યું કે, ભારતીય નાગરિકોને યુક્રેનમાંથી બહાર નીકાળવાના સમય સુધી કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહ પોલેન્ડમાં જ સમગ્ર અભિયાન પર નજર રાખશે. PMO એ કહ્યું કે, 'વડાપ્રધાને યુદ્ધનો અંત લાવવાની પણ અપીલ કરી. તેઓએ દેશોની ક્ષેત્રીય એકતા અને અખંડતતાના સમ્માન પર પણ વિશેષ જોર આપ્યું.
લોકોની અવરજવરને સરળ કરવામાં આવે : PM મોદી
યુરોપીય પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલ સાથેની વાતચીતમાં પણ PM મોદીએ આ યુદ્ધને ખતમ કરવાની વાતચીત કરી હતી. વડાપ્રધાને એ બાબત પર પણ જોર આપ્યું હતું કે, સમકાલીન વિશ્વ વ્યવસ્થામાં આંતરરાષ્ટ્રીય કાયદા, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને તમામ દેશોની પ્રાદેશિક એકતા અને અખંડિતતાને મજબૂતી પ્રદાન કરવાની વ્યવસ્થા છે. તેઓએ રશિયા અને યુક્રેન વચ્ચેની વાતચીતનું પણ સ્વાગત કર્યું અને મુક્ત તેમજ અવિરત માનવીય પહોંચને સુનિશ્ચિત કરવાની સાથે-સાથે લોકોની અવરજવરને પણ સરળ બનાવવામાં આવે તે વાત પર જોર મૂક્યું હતું.