વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુરક્ષામાં ચૂકને લઈને પંજાબ સરકાર એક્શન મોડમાં આવી છે. આ મામલે મોટી કાર્યવાહી કરતા પંજાબ સરકારે ઘણા ટોચના અધિકારી સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે.
PM મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો
પંજાબ સરકારે કરી મોટી કાર્યવાહી
DGP, DIG અને SSP પર કાર્યવાહીના આદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકને લઈને ભગવંત માન સરકારે મોટી કાર્યવાહી કરી છે. સરકારે તત્કાલીન ડીજીપી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાય, ફિરોઝપુરના તત્કાલિન ડીઆઈજી ઈન્દ્રબીર સિંહ, તત્કાલિન એસએસપી હરમનદીપ હંસ સામે અનુશાસનાત્મક કાર્યવાહી શરૂ કરવાના આદેશ આપ્યા છે. સાથે જ પંજાબના અન્ય ઘણા IPS અધિકારીઓ સામે પણ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.
સરકારે તત્કાલીન એડીજીપી લો એન્ડ ઓર્ડર નરેશ અરોરા, તત્કાલિન એડીજીપી સાયબર ક્રાઈમ જી નાગેશ્વર રાવ, તત્કાલીન આઈજીપી પટિયાલા રેન્જ મુખવિંદર સિંહ, તત્કાલીન આઈજી કાઉન્ટર ઈન્ટેલિજન્સ રાકેશ અગ્રવાલ, તત્કાલીન ડીઆઈજી ફરીદકોટ સુરજીત સિંહ અને મોગાના તત્કાલીન એસએસપી ચરણજીત સિંહને પૂછ્યું છે તપાસ કમિટીની ભલામણ મુજબ તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી શા માટે શરૂ ન કરવી જોઈએ?
PM મોદીની ચૂક માટે કોણ જવાબદાર?
PM મોદીની સુરક્ષામાં ચૂક મામલાની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે નિવૃત્ત જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાના નેતૃત્વમાં 5 સભ્યોની એક કમિટીની રચના કરી હતી. 6 મહિના પહેલા રજૂ કરાયેલ તપાસ કમિટીના આ રિપોર્ટમાં રાજ્યના તત્કાલિન મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી, પોલીસ વડા એસ ચટ્ટોપાધ્યા અને અન્ય ઉચ્ચ અધિકારીઓને પીએમની સુરક્ષામાં ચૂક માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. જે બાદ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પંજાબના મુખ્ય સચિવ વિજય કુમાર જંજુઆને કાર્યવાહીનો રિપોર્ટ જમા કરવવા માટે કહ્યું હતું.
પંજાબમાં હતી કોંગ્રેસની સરકાર
આ રિપોર્ટમાં પંજાબ પોલીસ અધિકારીઓ પર બેદરકારીભર્યા વલણનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને આ ઘટનાને યોજના અને સંકલનમાં મોટી નિષ્ફળતા તરીકે વર્ણવવામાં આવી હતી. જે સમયે પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો હતો, તે સમયે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી અને ચરણજીત સિંહ ચન્ની મુખ્યમંત્રી હતા.
શું છે સમગ્ર મામલો?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જાન્યુઆરી, 2022ના રોજ પંજાબના પ્રવાસે ગયા હતા. જ્યારે તેઓ ભટિંડા એરપોર્ટથી હુસૈનીવાલા જઈ રહ્યા હતા, ત્યારે તેમનો કાફલો અડધો કલાક સુધી ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો. આ પછી PM મોદીને પોતાનો કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો હતો અને તેઓ દિલ્હી પાછા ફર્યા હતા. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી ગયો અને તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. તપાસ કમિટીના રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.