પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી(શુક્રવાર) બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતને કેટલીક ભેટ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયામાં આરોગ્ય વન, ન્યૂટ્રિશન પાર્ક, એકતા મોલ, જંગલ સફારી, સરદાર પટેલ પ્રાણી સંગ્રહાલય અને એકતા ક્રુઝ સર્વિસ જેવી કેટલીક યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે હવે શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધુ કેટલીક સેવાઓની શરૂઆત કરશે.
પ્રધાનમંત્રી સી પ્લેનમાં કેવડિયાથી અમદાવાદ રવાના થશે
શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિગવંત નેતા કેશુભાઇ પટેલ અને કલાકાર નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા પીએમ મોદી કેવડિયા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડિયામાં કેટલીય સેવાઓની શરૂઆત કરી અને નિરીક્ષણ પણ કર્યું. આજે કેવડિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રી રોકાણ કરશે. ત્યારે હવે આવતીકાલે(શનિવાર) પ્રધાનમંત્રી સી-પ્લેનની ગુજરાતને ભેટ આપશે.
8.00 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પ અર્પણ કરશે.
8.30 વાગ્યે પરેડ ગ્રાઉન પર જશે ત્યાં પરેડ સલામી આપશે.
9.20 વાગ્યે પ્રધાનમંત્રી રાષ્ટ્રજોગ પ્રવચન કરશે.
10.45 વાગ્યે સી પ્લેનનું ઉદ્ઘાટન કરશે
ત્યારબાદ પ્રધાનમંત્રી સી પ્લેનમાં કેવડિયાથી અમદાવાદ રવાના થશે
ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ
31 ઓક્ટોબરથી દેશની એરલાઇન કંપની સ્પાઇસ જેટ દરરોજ બે ફ્લાઇટ શરૂ કરશે. આ ફ્લાઇટ સેવાઓ અમદાવાદથી કેવડિયા રૂટ પર રહેશે. 30 ઓક્ટોબર, 2020થી www.spiceshuttle.com પર ટિકિટ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. સ્પાઇસ જેટ આ ફ્લાઇટ માટે 15-સીટર ટ્વિન ઓટ્ટર 300 એરક્રાફ્ટનો ઉપયોગ કરશે. ઉડાન યોજના અંતર્ગત ઓલ-ઇન્ક્લૂસિવ વન-વે ટિકિટ રૂ.1500/-થી શરૂ થશે.
અમદાવાદથી કેવડિયાના દરરોજ 4 ટ્રીપ
અમદાવાદથી સવારે 8.00 કલાકે પ્રથમ ટ્રીપ, 10.15 કલાકે, બપોરે 12.45 કલાકે અને સાંજે 3.05 કલાકે ટ્રીપ ઉડાન ભરશે.
કેવડિયાથી પ્રથમ ટ્રીપ સવારે 9.15 કલાકે, સવારે 11.30 કલાકે બીજી ટ્રીપ, બપોરે 1.50 કલાકે ત્રીજી ટ્રીપ અને છેલ્લી ટ્રીપ સાંજે 4.20 કલાકે ઉડાન ભરશે.