PM મોદીએ પોતાના તમામ મંત્રીઓને દર 6 સપ્તાહે એકબીજા સાથે મુલાકાત કરવાની સલાહ આપી જેથી અંદરોઅંદર બરાબર તાલમેલ જળવાઇ રહે.
PM નરેન્દ્ર મોદીનો પોતાના તમામ મંત્રીઓને આદેશ
દર 6 સપ્તાહે તમામ મંત્રીઓ એકબીજા સાથે મુલાકાત કરે: PM
ફાળવવામાં આવેલા બજેટનો પૂરેપૂરો ઉપયોગ થવો જોઈએ: PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓમાં ટીમ સ્પિરિટ વધારવા પર ભાર મૂક્યો છે. તેઓએ તમામ મંત્રીઓને ટીમ ભાવનાથી કામ કરવાની સૂચના આપી છે. આ સાથે કહ્યું કે, એકબીજાના મંત્રાલયની માહિતી પણ રાખો. વધુમાં કહ્યું કે, તમામ મંત્રીઓએ પણ ફાળવેલા બજેટનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ અને તમામ યોજનાઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવી જોઈએ. પીએમ મોદીએ નિર્દેશ આપ્યો છે કે, દર 6 સપ્તાહે તમામ મંત્રીઓ એકબીજા સાથે મુલાકાત કરે જેથી અંદરોઅંદર તાલમેલ જળવાઇ રહે.
જાણો PM મોદીએ તમામ મંત્રીઓને શું સૂચના આપી?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડી સાંજે તેમના કેબિનેટના તમામ મંત્રીઓ સાથે મેરેથોન બેઠક યોજી હતી. લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠક પીએમ મોદીની પહેલનો એક ભાગ છે જેમાં મોટા ભાગે તેઓ પોતાના કેબિનેટના તમામ મંત્રીઓ સાથે વારંવાર ચર્ચા કરતા જોવા મળે છે. ઉત્તર પ્રદેશ સહિત 4 રાજ્યોમાં જીત બાદ પીએમની પોતાના તમામ મંત્રીઓ સાથેની આ પહેલી મુલાકાત હતી.
બુધવારે યોજાયેલી આ બેઠકમાં સરકારના વિવિધ મંત્રાલયો દ્વારા પાંચ વિષયો પર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષે બજેટની જાહેરાતો અને તેનો અમલ, કેટલાંક નાના કૃત્યોને ગુનાની યાદીમાંથી બહાર કરવા, અમૃત સરોવર યોજના હેઠળ દરેક જિલ્લામાં 75 તળાવ બનાવવાની પહેલ, ક્ષમતા નિર્માણ અને સ્વાયત્ત સંસ્થાઓમાં સુધારાનો સમાવેશ થાય છે.
6 સપ્તાહમાં એકબીજા સાથે મળતા રહો: PM મોદી
સૂત્રોના જણાવ્યાં અનુસાર, પીએમ મોદીએ તમામ મંત્રીઓને બજેટ સંબંધિત જાહેરાતોને લાગુ કરવા એક ટીમ તરીકે કામ કરવા માટે આહ્વાન કર્યું હતું. પીએમએ તમામ મંત્રીઓને એવી સલાહ આપી કે, તેઓ પોતાના મંત્રાલય સિવાય અન્ય મંત્રાલયોની નીતિઓ તેમજ પ્રવૃત્તિઓથી પણ વાકેફ રહે. બજેટમાં તમામ મંત્રાલયો માટે ફાળવવામાં આવેલા બજેટનો પૂરેપૂરો ઉપયોગ થવો જોઈએ જેથી દરેક જરૂરિયાતમંદને સરકારની તે યોજનાઓનો લાભ મળી શકે. આ સંદર્ભમાં, પીએમએ તમામ મંત્રીઓને દર છ સપ્તાહે એકબીજા સાથે મુલાકાત કરવા અંગે પણ સૂચન કર્યું.
એવાં કાયદાઓની ઓળખ કરવા કહ્યું કે જેની પ્રાસંગિકતા હવે સમાપ્ત થઈ ગઈ છે
આ સિવાય પીએમએ તમામ મંત્રીઓને પોતપોતાના મંત્રાલયો સાથે સંબંધિત એવાં કાયદાઓની ઓળખ કરવા અંગે પણ કહ્યું, જેની પ્રાસંગિકતા હવે સમાપ્ત થઈ ગઈ છે. વડાપ્રધાન બન્યા ત્યારથી નરેન્દ્ર મોદી આવાં કાયદાઓને નાબૂદ કરવાની સતત હિમાયત કરી રહ્યાં છે, જેની ઉપયોગિતા હવે ખતમ થઇ ગઇ છે. આ ઉપરાંત ગઈ કાલની બેઠકમાં અમૃત સરોવર યોજના અને સ્વાયત્ત સંસ્થાઓમાં સુધારા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.