વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારના બીજા કાર્યકાળના ૭પમા દિવસે ન્યૂઝ એજન્સીને આપેલ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કલમ-૩૭૦ હટાવવાનો મુદ્દો એ રાજનીતિ નથી, પરંતુ રાષ્ટ્રની વાત છે. તેમણે આ નિર્ણયનો વિરોધ કરી રહેલા લોકો પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં કલમ-૩૭૦ હટાવવાના નિર્ણયનો વિરોધ કરનારાઓના દિલ આતંકીઓ અને માઓવાદીઓ માટે ધબકી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે તમે કાશ્મીર પર લેવામાં આવેલા નિર્ણયનો જે લોકોએ વિરોધ કર્યો છે તેમની જો યાદી પર નજર નાખશો તો જણાશે કે આ લોકો અસામાન્ય સ્વાર્થી જૂથના રાજકીય પરિવારો સાથે સંકળાયેલા છે. જેમને આતંક સાથે સહાનુભૂતિ છે અને વિરોધ પક્ષના કેટલાક મિત્રોનો પણ તેમાં સમાવેશ થાય છે.
જોકે ભારતના લોકોએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અંગે લેવામાં આવેલા પગલાંઓનું સમર્થન કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં જનજીવન ટૂંક સમયમાં સામાન્ય બની જશે. કલમ-૩૭૦ની જોગવાઇથી ભારતનું નુકસાન થયું છે અને તેનો કેટલાક મુઠ્ઠીભર પરિવારો અને અલગતાવાદીઓએ ગેરલાભ લીધો છે.
આ કલમ દ્વારા નાગરિકોને વિકાસથી દૂર રાખવામાં આવ્યા છે, પરંતુ અમારો દૃષ્ટિકોણ અલગ છે. લોકોને ગરીબીનાં વિષચક્રમાંથી બહાર કાઢીને વધુ આર્થિક તક સાથે જોડવાની આવશ્યકતા છે. આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રિપલ તલાક અને ચંદ્રયાન-રને પોતાની સરકારની મોટી સિદ્ધિ ગણાવી હતી.
વડા પ્રધાન મોદીએ પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવતાં જણાવ્યું હતું કે બાળકોની સુરક્ષાથી લઇને ચંદ્રયાન-ર અભિયાન સુધી, ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહીથી લઇને મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકની કુપ્રથાથી આઝાદી અપાવવા સુધી અને કાશ્મીરથી લઇને કિસાન કલ્યાણ સુધી અમારી સરકારે બતાવી દીધું છે કે એક મજબૂત શાસન શું કરી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળના 75 દિવસ પૂર્ણ થવા પર અત્યાર સુધીના તમામ કામકાજ વખાણ્યા હતા. વડા પ્રધાન મોદીએ એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં તેમના બીજા કાર્યકાળની સિદ્ધિઓની ગણાવતા કહ્યું કે, સરકાર 'સ્પષ્ટ નીતિ, સાચી દિશા' નું પાલન કરી રહી છે અને ખેડૂતથી લઈને કાશ્મીર સુધીના દરેક માટે કામ કરવામાં આવ્યું છે.