નવી દિલ્હીઃ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના વોટ મેળવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશની મુલાકાતે છે. તેઓ શાહજહાપુરમાં ખેડૂતોની મહારેલીને સંબોધન કરશે. શાહજહાંપુરના રોજામાં યોજાનારી આ રેલી માટે ભાજપે જોરદાર તૈયારી પણ કરી લીધી છે.
ભાજપના જણાવ્યા મુજબ 9 જિલ્લાના દોઢ લાખ ખેડૂતો આ મહારેલીમાં હાજર રહેશે. તો પીએમ મોદીની રેલીને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા હતા અને રેલીની તૈયારીનું નિરિક્ષણ કર્યું હતું.
તો ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ પુરષોત્તમ ખંડેલવાલે કહ્યું કે આ રેલીને સફળ અને ઐતિહાસિક બનાવવા માટે ગ્રામ પંચાયત તાલુકા જિલ્લા સ્તરે ભાજપના નેતાઓને ખેડૂતોને મહારેલીમાં લાવવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે.
તો ભાજપના નેતા અને કાર્યકર્તાઓ આ રેલીને સફળ બનાવવા માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપ સંપૂર્ણ રીતે ચૂંટણીના મોડમાં આવી ગયા છે. આગામી 29મી જુલાઈએ પણ પીએમ મોદી લખનઉની મુલાકાત લેશે.