નર્મદાઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ બનીને તૈયાર છે.આગામી 31મી ઓક્ટોબરે પીએમ મોદી લોકાર્પણ કરવાના છે. જને લઇને વહીવટી તંત્રએ દિવસ રાત દોડધામ કરી લોકાર્પણને સફળ બનાવવા કમર કસી છે. ત્યારે સ્ચેચ્યુ ઓફ યુનિટીને લઇને PM મોદીના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઇ છે.
મળતી માહિતી પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમમાં 33 રાજ્યોમાંથી 900 જેટલા કલાકારોને બોલાવવામાં આવશે. 2 કલાકમાં 40થી વધુ કૃતિઓ રજૂ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વોલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલી પણ યોજવામાં આવશે. તો અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની 31 ઓક્ટોબરથી 2 માસ સુધી તબક્કાવાર મુલાકાત કરશે. જોકે તંત્ર દ્વારા આ મુદ્દે સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
દેશની અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી રાજ્યમાં જોરશોરથી ઉજવાવા જઈ રહી છે. સોનામાં સુગંધરૂપ તેમની જન્મતિથિએ દુનિયાના સૌથી મોટા સરદારના સ્ટેચ્યુનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અનાવરણ થવા જઈ રહ્યું છે.
ગુજરાતના નર્મદા ડેમ પર કેવડિયાના સાધુ ટેકરી પર વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું નિર્માણ થયું છે. 31 ડિસેમ્બર 2014થી આ સ્ટેચ્યુનું કામ શરૂ થયું હતું. ત્યારે આગામી 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રતિમાનું લોકાર્પણ થવાનું છે. મહત્વનું છે કે 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ હોવાથી પીએમ મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થશે.