પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની દેશમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે હાઇલેવલ બેઠક કરીને વિશેષ અભિયાન ચલાવવા માટે આદેશ આપ્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ કરી હાઇલવેલ બેઠક
મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ટીમ મોકલવાના આદેશ
6થી 14 એપ્રિલ સુધી ચાલશે વિશેષ અભિયાન
શું લેવાયા નિર્ણયો?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે કોરોના વાયરસની પરિસ્થિતિ તથા વેક્સિનનેશન અભિયાન મુદ્દે હાઇલેવલ બેઠક કરી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 6થી 14 એપ્રિલની વચ્ચે સાફ-સફાઇ અને કોરોના વાયરસ સામે એક વિશેષ જાગરૂકતા અભિયાન કરવામાં આવશે. પીએમ મોદીએ ભારતમાં મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં એક વિશેષ ટીમ મોકલવાના પણ નિર્દેશ આપ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે 100 ટકા માસ્કનો ઉપયોગ, સ્વચ્છતા અને જાહેર જગ્યાઑ પર સફાઇ તથા સુવિધાઓ પર ધ્યાન આપવામાં આવે તે માટે 6 એપ્રિલથી 14 એપ્રિલની વચ્ચે એક વિશેષ અભિયાન પણ ચાલુ કરી દેવામાં આવે.
કોરોનાની બીજી લહેર બની ઘાતક
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. દૈનિક કેસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો સામે આવી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના વાયરસ કહેર જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ જે રાજ્યોમાં કોરોના વાયરસ બેકાબૂ થઈ રહ્યો છે ત્યાં વિશેષ ટીમ મોકલવાના આદેશ આપ્યા છે.
5T પર આપવામાં આવશે જોર
નોંધનીય છે કે પીએમ મોદીની હાઇલવેલ બેઠકમાં પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ તથા વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું દેશભરમાં કોરોના વાયરસ અને રસીકરણ અભિયાનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમીક્ષા બેઠક કરી હતી. વૈશ્વિક મહામારી સામે લડવા માટે પ્રભાવી રૂપથી ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ અને રસીકરણ પાંચ સ્તરીય રણનીતિને મહત્વ આપવા પર ભાર આપવામાં આવશે.
ડેથ રેટ ઓછો કરવાનો લક્ષ્ય
પીએમ મોદીના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર 6થી 14 એપ્રિલ સુધી કોરોના વાયરસ સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીએ આવનારા દિવસોમાં હોસ્પિટલોમાં બેડની સંખ્યા, તપાસની ઉત્તમ વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપ્યા છે. કોરોના વાયરસ સામે ડેથ રેટને ઓછો કરવા તથા આવશ્યક સ્વાસ્થ્ય માળખું ઊભું કરવા ભાર આપવામાં આવશે.