PM મોદીના આહવાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે: પાટીલ
સ્વતંત્રતા દિવસ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દરેક દેશવાસીઑમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં આઝાદી કા અમૃત મહોત્સવને પગલે સરકાર દ્વારા હર ઘર તિરંગા મુહિમ હાથ ધરવામાં આવી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકોને પોતાના ઘર પર તિરંગો લહેરાવવા આહવાન કરાયુ છે. જેંને લઇને આજે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગાંધીનગર ખાતે કમલમમાં તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
ભાજપના ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં તિરંગાનું વિતરણ કરશે
આ અવસરે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજના માન ખાતર અનેક સૈનિકોએ શહિદી વ્હોરી છે તો અનેક સેનાનીઑ જેલમાં ગયા હતા. જેના માનમાં સામાન્ય રીતે રાષ્ટીય પર્વ પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવતો હોય છે પરંતુ અગાઉ અનેક પ્રકારના પ્રતિબંધ હોવાને પગલે તમામ લોકો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકતા ન હતા અથવા તો નિયમને અધિન લહેરાવવામાં આવતો હતો. અગાઉ સૂર્યાસ્ત બાદ રાષ્ટ્રધ્વજ ન ફરકાવવો ઉપરાંત અનેક નિયમો હતા જેને હળવા કરવામાં આવ્યા છે અને હર ઘર તિરંગા અભિયાન હાથ ધરાયું છે. જે અંગેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમ સી.આર. પાટિલે ઉમેર્યું હતું.
PM મોદીએ નિયમો હળવા કરતા હવે ઘરે તિરંગો ફરકાવી શકાશે : પાટીલ
વધુમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલે ઉમેર્યું હતું કે ભાજપના ધારાસભ્યો દ્વારા પોતાના મત વિસ્તારમાં તિરંગાનું વિતરણ કરવામાં આવશે. ભાજપના ધારાસભ્યો દ્વારા પોતાના મતવિસ્તારમાં 20 હજારથી વધુ તિરંગાનું વિતરણ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રતિબંધને પગલે અગાઉ સામાન્ય માણસ પોતાના ઘરે તિરંગો લહેરાવી શકતો ન હતો. હવે જ્યારે PM મોદીએ નિયમો હળવા કરતા પોતાના ઘરે તિરંગો ફરકાવી શકાશે અને આ માટે હર ઘર તિરંગા અભિયાનની મુહિમ પણ હાથ ધરાઇ છે. જેંને લઇને સામાન્ય માણસમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો તિરંગા લેવા પડાપડી કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીના અભીયાનને લઇને લોકોમાં આઝાદી અંગે જબરી જાગૃતતા આવી છે.