નરેન્દ્ર બીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત માલદીવ અને શ્રીલંકાના પ્રવાસે છે. પાડોશી ફસ્ટની રણનીતિ અંતર્ગત મોદીનો આ પ્રવાસ અનેક રીતે મહત્વપૂર્ણ છે. હિન્દ મહાસાગર અને દક્ષિણ પશ્ચિમમાં વર્ચસ્વ માટે આ પ્રવાસ ભારત માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
નરેન્દ્ર મોદી બીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ તેમની પહેલી વિદેશ યાત્રા પર માલદીવ પહોંચ્યા છે. મોદીનો આ બીજો માલદીવ પ્રવાસ છે. આ દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ સાથે મુલાકાત કરી હતી. તેમણે માલદીવના સૌથી મોટા નાગરિક સમ્માન નિશાન ઇઝ્ઝુદ્દીનથી સન્માનિત કરવામાં આવ્યા.
આ પહેલા મોદી ગત વર્ષે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોહિલના શપથગ્રહણ સમારોહમાં માલદીવ ગયા હતા. મોદી સરકારની નેબર ફર્સ્ટ એટલે કે પાડોશી પહેલાની પોલીસી રહી છે. 2014માં પહેલી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ પણ મોદી તેમની પહેલી વિદેશ યાત્રા પર પાડોશી દેશ ભૂટાન ગયા હતા.
હવે જ્યારે પ્રધાનમંત્રી મોદી માલદીવ પહોંચ્યા છે. ત્યારે ઘણા લોકોના મનમાં હશે કે મોદીએ કેમ માલદીવને જ પસંદ કર્યો? કેમ દુનિયાના મોટા મોટા દેશોનો નજર અંદાજ કરી મોદી માલદીવ પહોંચ્યા? મોદીના માલદીવ પ્રવાસ પાછળનું કારણ શું છે? આ તમામ પ્રશ્નોનો આજે અમે આપને જવાબ આપીશું. સાથે એનાથી પણ માહિતગાર કરીશું કે માલદીવથી ભારતને શું મળવાનું છે?
વિદેશી મામલાના જાણકારોના મતે ચીન પાકિસ્તાનને નબળું પાડવા માટે માલદીવ ખુબ જ અગત્ની ભૂમિક ભજવી શકે છે. માલદીવ એવો દેશ છે જે ભારતના ડિફેન્સ અને સ્ટ્રેટજી માટે જરૂરી છે. દક્ષિણ એશિયામાં ભારત માટે સૌથી વધારે વિશ્વાસપાત્ર માલદીવ જ છે. ભારત માલદીવ સાથે હિંદ મહાસાગરમાં નવી રણનીતિ તૈયાર કરવા માગે છે. જો ભારતને વધુ મજબૂત બનાવવો હોય તો માલદીવનો સાથ જરૂરી છે. જો ચીન માલદીવ સાથેના સંબંધોમાં મજબૂતાઈ વધારશે તો ભારત નબળું પડશે, પરંતુ જો ભારત મજબૂત બનશે તો ચીન અને પાકિસ્તાન બન્ને નબળા પડી જશે.
ચીનની આર્થિક અસર ઓછી કરવા માલદીવ જરૂરી
વિદેશી મામલાના એક્સપર્ટના મતે દક્ષિણ એશિયાના દેશોને ચીન આર્થિક મદદ કરવાના નામે દેવામાં ડુબાડી રહ્યું છે. પાકિસ્તાન અને માલદીવ પણ તેનાથી બાકાત નથી. ચીનનો વન બેલ્ટ-વન રોડ પ્રોજેક્ટ માલદીવના મારુ અને શ્રીલંકાના હંબનટોટા પોર્ટ પરથી પસાર થવાનો છે. ચીન આ પોતાની આ યોજના અંતર્ગત ભારતને ઘેરવાના પ્રયાસો કરી રહ્યું છે. તેથી ભારતને માલદીવનો સાથ જરૂરી છે. જો ભારત માલદીવને આર્થિક મદદ કરશે તો માલદીવ ભારતને સહકાર આપશે. માલદીવના સહકારથી ભારત ચીન અને પાકિસ્તાનને આર્થિક રીતે નબળું પાડશે.
સુરક્ષા માટે કેટલું જરૂરી માલદીવ ?
ફેબ્રુઆરી 2018માં જ્યારે માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને કટોકટી લગાવી દીધી હતી. ત્યારે ભારત જ માલદીવની મદદ માટે સામે આવ્યું હતું. ભારતે માલદીને સૈન્ય મદદ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ માલદીવ તે મદદ લેવાનો એ કારણ આપી ઈન્કાર કરી દીધો હતો કે તેમને પાકિસ્તાનની મદદ મળી રહી છે. માલદીવ-ચીન અને પાકિસ્તાનનું ત્રિકોણ બની રહ્યું છે, જે ભારત માટે ખતરારૂપ છે. જો ભારત ત્રિકોણ તોડવામાં સફળ રહેશે તો ચીન અને પાકિસ્તાનના ઈરાદાઓ નિષ્ફળ કરવામાં સફળતા મળી શકશે. મોદી માલદીવની યાત્રા પર જઈ રહ્યાં છે તો ત્યાની જનતા અને સરકારમાં વિશ્વાસ ઊભો થશે કે ભારત પણ અમારી સાથે છે. જેથી ભારતને નિકાસ કરવા અને ત્યાં પોતાનું બજાર બનાવવામાં પણ મદદ મળશે.
બગડેલા સંબંધોમાં આવશે સુધાર
માલદીવ અને ભારતના સંબંધોમાં ગત વર્ષે ખટરાગ ઊભો થયો હતો, જ્યારે માલદીવમાં કટોકટીની પરિસ્થિતી સર્જાઈ હતી. ભારત એ કટોકટીના વિરોધમાં હતું. પરંતુ અબ્દુલ્લા યામીનનું વલણ ચીન તરફી હતું. ત્યારે ચીને ભારતને કહ્યું હતું કે કોઈ પણ દેશના આંતરિક મામલાઓમાં દરમિયાનગીરી ન કરવી જોઈએ. જૂન 2018માં માલદીવની પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવના સાંસદ અહમદ નિદાન જ્યારે ભારત આવ્યા ત્યારે તેમને ચેન્નાઈ એરપોર્ટ પર જ રોકવામાં આવ્યા હતા અને પુછપરછ કર્યા બાદ કથિત રીતે પરત મોકલી દેવાયા હતા.
સોહિલ સામાં આવતા સંબંધોમાં આવ્યો સુધાર
માલદીવને ભારતે ભેટ આપેલા બે નેવા હેલિકોપ્ટર માલદીવે ભારતને પરત લઈ જવા કહી દીધું હતું. સાર્ક દેશોમાં પાકિસ્તાન બાદ માલદીવ જ છે, જેના ભારત સાથેના સંબંધો સૌથી વધારે ખરાબ રહ્યા છે. જો કે નવેમ્બર 2018માં ઈબ્રાહિમ મોહમ્મદ સોહિલ સત્તામાં આવ્યા બાદ બન્ને દેશો વચ્ચેના સંબંધો સુધરવા લાગ્યા. નવા રાષ્ટ્રપતિ સોહિલનું વલણ ભારત તરફનું રહ્યું છે. તેઓ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે સૌથી પહેલા શુભેચ્છા પ્રધાનમંત્રી મોદીએ જ પાઠવી હતી.
પ્રધાનમંત્રી મોદીના માલદીવ પ્રવાસથી ભારતને અનેક આશા અને અપેક્ષાઓ છે. માલદીવના સહારે ભારત હિંદ મહાસાગરમાં પોતાનું વર્ચસ્વ સ્થાપી શકે છે. આ વર્ચસ્વ થકી ભારત ચીન અને પાકિસ્તાનને કંટ્રોલમાં રાખી શકે છે. ટચુકડો દેશ માલદીવ ચીન, ભારત, પાકિસ્તાન અને દક્ષિણ એશિયાના દેશો માટે અનેકરીતે મહત્વનો છે. તેથી ભારત પણ માલદીવને મહત્વ આપ્યું રહ્યું છે. માલદીવના સહારે જ હિન્દ મહાસાગરમાં હિન્દુસ્તાન તેનો એક્કો સ્થાપિત કરશે.